VIDEO: બનાસકાંઠામાં વિકાસનો અજગર વડગામનું ભરકાવાડા બસ સ્ટેશન ગળી ગયો ! સિક્સલેન હાઈવે બન્યો, બસ સ્ટેશન ગાયબ
VIDEO: ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ક્યાંક આ વિકાસ જ લોકો માટે મુશ્કેલી બની રહ્યો હોય તેવો કિસ્સો બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડાથી સામે આવ્યો છે. પાલનપુર-મહેસાણા સિક્સલેન હાઈવે બનતા ભરકાવાડા હાઈવે પરનું જૂનું બસ સ્ટેશન તોડી પાડવામાં આવ્યું, પરંતુ નવીન બસ સ્ટેશન આજદિન સુધી ન બનતાં ગામલોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પાલનપુરથી મહેસાણા સુધીના સ્ટેટ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવાની કામગીરી સરકારના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પાલનપુરથી તેનીવાડા સુધી મહેસાણાની રણજિત બિલ્ટકોન કંપનીને સોંપવામાં આવી હતી. નિયમ મુજબ જુના બસ સ્ટેશનને તોડી નવીન બસ સ્ટેશન બનાવવાનું હતું, પરંતુ વડગામ તાલુકાના ભરકાવાડા હાઈવે પર આવેલ જૂનું બસ સ્ટેશન તોડી પાડ્યા બાદ નવીન બસ સ્ટેશનનું કામ અટકી ગયું છે. પેટા કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનીક વાતચીતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગામના કોઈ વ્યક્તિએ બસ સ્ટેશન બનશે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી, જેના કારણે બસ સ્ટેશન પાલનપુર તરફ સ્વિચ કરવામાં આવ્યું. જો કે, આ બાબતે કોઈ લેખિત કે મજબૂત પુરાવો ન હોવાનું પણ સામે આવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કેટલાક લોકોના આર્થિક લાભ માટે ભરકાવાડા બસ સ્ટેશન બનાવવામાં આવતું નથી. બસ સ્ટેશનના અભાવે ભરકાવાડા સહિત આસપાસના 15 જેટલા ગામડાના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.અમદાવાદથી પાલનપુર તરફ જતી બસો અહીં ઊભી રહેતી નથી, જેના કારણે મુસાફરોને જીવ જોખમમાં મૂકીને હાઈવે પર ઉતરવું પડે છે.
સ્થાનિકોએ ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક ભરકાવાડા હાઈવે પર બસ સ્ટેશનનું નિર્માણ શરૂ નહીં થાય તો તેઓ લાગુ પડતી કચેરીઓ સામે ઉપવાસ અને આંદોલન કરવા મજબૂર બનશે. હવે પ્રશ્ન એ છે કે, વિકાસના નામે ગાયબ થયેલ આ બસ સ્ટેશન ક્યારે ફરીથી લોકોની સુવિધા બનશે.

