Vadodara: નવા માંડવા ગ્રામ પંચાયતમાં ગ્રામજનોનો હલ્લાબોલ: 2 મહિનાથી મરણના દાખલો ન મળતા ઉધડો લીધો

Vadodara news: સરકાર એક તરફ 'ડિજિટલ ઈન્ડિયા' અને 'પારદર્શક વહીવટ'ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ પાયાના સ્તરે સરકારી બાબુઓની લાપરવાહીને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. ડભોઇ તાલુકાની નવા માંડવા ગ્રામ પંચાયતમાં છેલ્લા બે મહિનાથી મરણના દાખલા ન મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ પંચાયત કચેરીએ હલ્લાબોલ કરી તલાટી કમ મંત્રીને બરાબરનો આડે હાથ લીધા હતા.
બે મહિનાથી ખાતા હતા ધરમધક્કા
પ્રાપ્ત વિગતો અનુસાર, નવા માંડવા ગામના અનેક પરિવારોએ પોતાના સ્વજનોના મૃત્યુ બાદ મરણના દાખલા માટે પંચાયતમાં અરજી કરી હતી. વીમો, બેંકના કામ કે વારસાઈ જેવી પ્રક્રિયાઓ માટે આ દાખલો અત્યંત અનિવાર્ય હોય છે. જોકે, અરજદારો છેલ્લા બે મહિનાથી પંચાયતના ચક્કર કાપી રહ્યા હતા, તેમ છતાં તલાટી કમ મંત્રી દિવ્યરાજસિંહ રહેવર દ્વારા કોઈને કોઈ બહાને દાખલા આપવામાં આવતા ન હતા.
તલાટીનો વિચિત્ર બચાવ: 'VCEને કામ નથી આવડતું'
જ્યારે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો અને તલાટીનો ઉધડો લેવામાં આવ્યો, ત્યારે તેમણે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા. તલાટીએ દોષનો ટોપલો VCE (Village Computer Entrepreneur) પર ઢોળતા જણાવ્યું હતું કે, "નવા પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે પાડવી તેની VCEને આવડત ન હોવાથી વિલંબ થયો છે." જોકે, સવાલ એ ઉભો થાય છે કે જો VCEને કામ નહોતું આવડતું તો બે મહિના સુધી તલાટીએ ઉચ્ચ સ્તરે રજૂઆત કેમ ન કરી?
'વેરો ભરો તો જ દાખલો મળશે' - ગંભીર આક્ષેપ
અકળાયેલા ગ્રામજનોએ તલાટી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મરણનો દાખલો આપવા માટે તલાટી દ્વારા શરત મૂકવામાં આવતી હતી. અરજદારોના જણાવ્યા મુજબ, તલાટી એવું દબાણ કરતા હતા કે "જો પંચાયતનો બાકી વેરો ભરશો, તો જ દાખલો મળશે." સરકારી નિયમ મુજબ મરણનો દાખલો એ નાગરિકનો અધિકાર છે અને તેને વેરા વસૂલાત સાથે સાંકળીને અટકાવવો એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
ઉચ્ચ અધિકારીઓ લાલ આંખ કરે તેવી માંગ
આ ઘટનાને પગલે સમગ્ર તાલુકામાં ચર્ચાઓ જાગી છે. સ્વજન ગુમાવ્યાના દુઃખમાં ડૂબેલા પરિવારોને વહીવટી પ્રક્રિયા માટે બે-બે મહિના સુધી રઝળાવવા તે માનવતા અને નૈતિકતાની વિરુદ્ધ છે. આવા બેજવાબદાર અધિકારીઓ સામે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. જો સમયસર તપાસ નહીં થાય, તો સરકારની સુશાસનની છબી ખરડાશે તેમાં કોઈ શંકા નથી.

