VIDEO: Ahmedabad / 9 લોકોના મોત બાદ પણ તંત્ર ઘોર નિદ્રામાં! ગેરકાયદે ફટાકડાના કારખાનાઓ પર તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો
અમદાવાદમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા બાદ પણ વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી માત્ર નહિવત્ અને દેખાડા પૂરતી જ કામગીરી કરવામાં આવી છે. મોડી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન તંત્રએ ખુલ્લા ખેતરમાં ધમધમતા માત્ર 2 ગેરકાયદે એકમો સામે જ પગલાં લીધા છે.
જપ્ત કરાયેલા દારૂગોળા પર પાણી છાંટી નાશ કરાયો
મળતી માહિતી મુજબ, તંત્ર દ્વારા જે બે એકમો પર કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યાંથી ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલો ફટાકડાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટક સામગ્રી વધુ કોઈ દુર્ઘટના ન સર્જે તે માટે તુરંત જ તેના પર પાણીનો મારો ચલાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો અને બંને એકમોને સીલ કરી દેવાયા હતા. પરંતુ આશ્ચર્ય અને ભારે ચિંતાની વાત એ છે કે, શહેરમાં આવા અનેક ગેરકાયદે કારખાનાઓ ધમધમી રહ્યા હોવાની આશંકા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કે પોલીસ તંત્ર દ્વારા આ બે એકમો સિવાય અન્ય કોઈ પણ વિસ્તારમાં કોઈ જ પ્રકારનું સર્ચ ઓપરેશન કે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નથી.
9 લોકોના જીવ ગયા બાદ પણ તંત્રની આવી ઢીલી નીતિથી સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આખી ઘટના તંત્રની ગંભીર બેદરકારી, આળસ અને ઉદાસીનતા સ્પષ્ટપણે છતી કરે છે.

