Ahmedabad news: BAPS સેટેલાઈટ મંદિરના 25 વર્ષ: પ્રમુખસ્વામી મહારાજે સ્થાપેલા સંસ્કારધામમાં રજત જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી

Ahmedabad news: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારનું શ્રદ્ધા કેન્દ્ર એવા BAPS સ્વામિનારાયણ મંદિર, સેટેલાઈટનો રજત જયંતી મહોત્સવ અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવના ઉપલક્ષમાં ભક્તિની સાથે સામાજિક ઉત્થાનના કાર્યોનો સંગમ જોવા મળ્યો છે. મંદિરના રજત જયંતી મહોત્સવ નિમિત્તે બીએપીએસ બાળમંડળ દ્વારા એક વિશેષ 'વ્યસનમુક્તિ અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું હતું.
નાના ભૂલકાંઓની મોટી પહેલ
સેટેલાઈટ વિસ્તારના ઘરે-ઘરે અને મહોલ્લે-મહોલ્લે જઈને નાના ભૂલકાંઓએ લોકોને વ્યસનમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. પાંચ દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં 20 જેટલા બાળકો અને 6 કાર્યકરોએ સતત પરિશ્રમ કરી 400થી વધુ વ્યક્તિઓનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. બાળકોના આ નિઃસ્વાર્થ પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે, સંપર્ક દરમિયાન જ 43 વ્યક્તિઓએ તાત્કાલિક વ્યસનમુક્ત થવાનો સંકલ્પ કર્યો હતો, જ્યારે 113 લોકોએ ભવિષ્યમાં વ્યસન છોડવાની નેમ વ્યક્ત કરી હતી.
25 વર્ષની સંસ્કાર યાત્રા
ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરી 2001ના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. છેલ્લા 25 વર્ષથી આ મંદિર મહત્ત્વના માનવીય મૂલ્યો જેવા કે સદાચાર, સત્યનિષ્ઠા અને સેવાના સિંચનનું કાર્ય કરી રહ્યું છે. રજત જયંતી મહોત્સવ અંતર્ગત 14 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ રાત્રે વિદ્વાન સંતોના પ્રવચનનો લાભ પણ હરિભક્તો લઈ રહ્યા છે. આ મહોત્સવમાં સેટેલાઈટ વિસ્તારના હરિભક્તો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

