Ahmedabad news: મહાશિવરાત્રી 2026: સરદારનગર શ્રી મહાકાલ મંદિરમાં વિશેષ ભસ્મ આરતીનું આયોજન

Ahmedabad news: ગુજરાતના હૃદય સમાન અમદાવાદમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો. શહેરના સરદારનગરમાં આવેલા શ્રી મહાકાલ મંદિર ખાતે ઉજ્જૈનની પરંપરા મુજબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 15 ફેબ્રુઆરી 2026, રવિવારથી દસ દિવસીય મહાશિવરાત્રી પર્વ અને શિવ નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
નવ દિવસ સુધી દૂલ્હા સ્વરૂપે દર્શન
મંદિરના પૂજારી ડૉ. અભિષેક સોનીના જણાવ્યા અનુસાર, ઉજ્જૈનના શ્રી મહાકાલ મંદિરની પરંપરાને અનુસરીને અહીં ભૂતભાવન બાબા મહાકાલ નવ દિવસ સુધી રાજસી વેશમાં અને દૂલ્હા (વરરાજા) સ્વરૂપે ભક્તોને દિવ્ય દર્શન આપશે. આ દિવસો દરમિયાન દૈનિક અભિષેક, વિશેષ આરતી અને મનમોહક શૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાશિવરાત્રીનું વિશેષ આકર્ષણ
મહાશિવરાત્રીના મુખ્ય દિવસે બાબાનો વિશેષ 'ભાંગ શૃંગાર' કરવામાં આવશે. અર્ધરાત્રિએ ચાર પ્રહરની વિશેષ પૂજા બાદ, 16 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે સપ્તધાન મુખારવિંદ શૃંગાર દર્શન યોજાશે. મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ સોમવારે બપોરે 12 વાગ્યે યોજાનારી વિશેષ 'ભસ્મ આરતી' છે, જે વર્ષમાં માત્ર એક જ વાર યોજાય છે. આ આરતી સાથે જ 10 દિવસીય મહોત્સવનું સમાપન થશે.

