VIDEO: વારંગલમાં આસ્થા અને કાયદાનો અનોખો સંગમ સુપ્રીમ કોર્ટ થીમ પર બિરાજમાન થયા 'ન્યાયમૂર્તિ ગણપતિ'!
વારંગલમાં આસ્થા અને કાયદાનો અનોખો સંગમ
સુપ્રીમ કોર્ટ થીમ પર બિરાજમાન થયા 'ન્યાયમૂર્તિ ગણપતિ'!
વારંગલમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ભારે ધૂમ!
તેલંગાણાના વારંગલમાં ગણેશોત્સવ પર્વ નિમિત્તે એક અત્યંત અનોખો અને સંદેશાત્મક મંડપ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં આયોજકો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની થીમ પર આધારિત મંડપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભગવાની સ્થાપના ન્યાયમૂર્તિ ગણપતિ સ્વરૂપે કરવામાં આવી છે. સંપૂર્ણપણે પર્યાવરણ અનુકૂળ સામગ્રીથી નિર્મિત આ ઈકો-ફ્રેન્ડલી પ્રતિમા અને મંડપની ભવ્યતા જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અનોખી સંકલ્પના અંગે માહિતી આપતાં આયોજક લિંગમ હેમંતે જણાવ્યું હતું કે, કાયદાનું પાલન અને સામાજિક ન્યાયના મહત્વને સમજાવવા માટે આ થીમ પસંદ કરવામાં આવી છે. ગણેશજીને વિઘ્નહર્તાની સાથે સાથે ન્યાયના દેવ તરીકે રજૂ કરીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. મંડપમાં સુપ્રીમ કોર્ટની પ્રતિકૃતિની સાથે સનાતન સંસ્કૃતિ અને કાયદાકીય માળખાનો સુંદર સંગમ જોવા મળે છે, જેને બનાવવામાં કુદરતી રંગો અને માટીનો ઉપયોગ કરાયો છે.
સનાતન આસ્થા અને ન્યાય પ્રણાલીને જોડતો કલાત્મક મંડપ!
'ન્યાયમૂર્તિ ગણપતિ'ના દર્શને ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ!
સામાન્ય રીતે પંડાલમાં પૌરાણિક દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ સુપ્રીમ કોર્ટની થીમ અને ન્યાયમૂર્તિ ગણપતિનું આ સ્વરૂપ અત્યંત મનોહર અને પ્રેરણાદાયી છે. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ કલાત્મક મંડપ અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડતી મૂર્તિના વખાણ કરી રહ્યા છે. દર્શન માટે પહોંચેલા ભક્તો ભાવવિભોર થઈને બાપ્પાના આ નવાયત રૂપના આશીર્વાદ લઈ રહ્યા છે. વારંગલથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં સુપ્રીમ કોર્ટની પ્રતિકૃતિ સમાન પંડાલ અને ન્યાયમૂર્તિ ગણપતિ આગળ ભક્તોની ભારે ચહલપહલ જોઈ શકાય છે. ઈકો-ફ્રેન્ડલી ગણેશ સ્થાપના અને કાયદાકીય જાગૃતિનો આ અનોખો પ્રયોગ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ આયોજને સાબિત કર્યું છે કે ઉત્સવો માત્ર ધાર્મિક આસ્થા પૂરતા સીમિત ન રહેતા સામાજિક અને પર્યાવરણીય જાગૃતિનું પણ એક સશક્ત માધ્યમ બની શકે છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

