Sensex today: ટેરિફ ટેન્શન અને રિલાયન્સ અને IT શેરો ઘટવાથી સેન્સેક્સમાં 270 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 24426ની સપાટીએ બંધઃ 12 લાખ કરોડનું ધોવાણ

Sensex today: પહેલા તેજી આવી, પછી મંદી, પરંતુ છેલ્લી 20 મિનિટમાં સ્થાનિક બજારમાં મોટો ફેરફાર જોવા મળ્યો અને શેરબજાર ભારે ઘટાડા પછી દિવસના સૌથી નીચા સ્તરે બંધ થયું. નિફ્ટી 3 અઠવાડિયાના નીચલા સ્તરે બંધ રહી- છેલ્લા 20 મિનિટમાં બેંકિંગ શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં દબાણ સર્જાયું. શુક્રવારે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. દિવસભરના ઉતાર-ચઢાવ પછી, અંતે સેન્સેક્સ અને નિફ્ટી લાલ રંગમાં બંધ થયા.
એશિયાઇ બજારોના મિશ્ર વલણની વચ્ચે ભારતીય શેરબજારો સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં એટલે કે શુક્રવારનો 29 ઓગસ્ટે પોઝિટિવ વલણ વચ્ચે પણ ઘટાડે બંધ રહ્યા હતાં. એફએમસીજી શેરોમાં વધારો થયો હોવા છતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટી શેરોમાં નુકસાનને કારણે બજાર લાલ નિશાનમાં બંધ થયું. યુએસ ટેરિફ અંગેની ચિંતાઓએ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 70 પોઈન્ટ ઘટીને 80,010 પર ખુલ્યો. જોકે, ખુલતાની સાથે જ તેમાં વેગ આવ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 80,310 પોઈન્ટ પર પહોંચી ગયો. પરંતુ ટ્રેડિંગના અંતે, તેમાં વેચવાલી જોવા મળી. અંતે, તે 270.92 પોઈન્ટ અથવા 0.34 ટકા ઘટીને 79,809.65 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી50 પણ 24,466 પર ઘટાડા સાથે ખુલ્યો. પરંતુ ખુલતાની સાથે જ તે લીલો થઈ ગયો. ટ્રેડિંગ દરમિયાન ઇન્ડેક્સમાં વધઘટ થઈ. અંતે, તે 74.05 પોઈન્ટ અથવા 0.30 ટકા ઘટીને 24,426 પર બંધ થયો.મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટનું પ્રદર્શન પણ બેન્ચમાર્ક ઈન્ડેક્સ જેવું જ હતું. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.29 ટકા અને બીએસઈ મિડકેપ 0.41 ટકા ઘટ્યો.
શેરબજારમાં પાંચ મહીનાનો સૌથી મોટો ઘટાડોઃ રોકાણકારોના 12 લાખ કરોડ ડૂબ્યા
ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે છેલ્લું અઠવાડિયું ખૂબ જ પીડાદાયક રહ્યું. 25 ઓગસ્ટના રોજ બજાર મૂડી રૂપિયા 4,55,41,312.90 કરોડ હતી, જે 29 ઓગસ્ટના રોજ ઘટીને રૂપિયા 4,43,41,862.39 કરોડ થઈ ગઈ. એટલે કે, માત્ર ચાર ટ્રેડિંગ સત્રોમાં, રોકાણકારોએ લગભગ રૂપિયા 11,99,450.51 કરોડ ગુમાવ્યા.
આ અઠવાડિયે, ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી, મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો - ત્રણેય રોકાણકારો માટે ભારે નુકસાન સાથે બંધ થયા. આ લગભગ 5 મહિનામાં સૌથી ખરાબ સપ્તાહ હતું. નિષ્ણાતો કહે છે કે આ ટ્રમ્પના ટેરિફની અસર છે. તેના કારણે રોકાણકારોને 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 45,541,312.90 કરોડ રૂપિયાથી ઘટીને 4,43,41,862.39 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નિફ્ટી-50 કંપનીઓમાં, આઇટીસી સૌથી વધુ 2.21 ટકા વધ્યો. આ પછી, ભારત ઇલેક્ટ્રોનિક્સમાં 1.53 ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં 1.51 ટકા, ટ્રેન્ટમાં 1.20 ટકા, એશિયન પેઇન્ટ્સમાં 1.19 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી-50ની કંપનીઓમાં સૌથી વધારે નુકસાન મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાને થયું હતું અને શેરના ભાવમાં 2.91 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.08 ટકા, ઇન્ફોસિસ 2.04 ટકા, એપોલો હોસ્પિટલ્સ 1.53 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝિસ 1.35 ટકા ઘટ્યા.
બીએસઈ-લિસ્ટેડ કંપનીઓમાં, એમ એન્ડ એમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને ટાટા મોટર્સ સૌથી વધુ નુકસાન સહન કરનારાઓમાં સામેલ હતા. જ્યારે આઇટીસી, બીઇએલ, ટ્રેન્ટ અને એલએન્ડટી સૌથી વધુ વધ્યા હતા. નિફ્ટી એફએમસીજી, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય, એનએસઇ પરના અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા.
સેક્ટરલ ઈન્ડેક્સ
આ ઘટતા બજારમાં કેટલાક ક્ષેત્રોને પણ ફાયદો થયો, જેમાં નિફ્ટી એફએમસીજીમાં 0.95 ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, નિફ્ટી મીડિયામાં 0.35 ટકા અને નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સમાં 0.19 ટકાનો વધારો જોવા મળ્યો.
સૌથી વધારે નુકસાન નિફ્ટી કેપિટલ માર્કેટ્સમાં જોવા મળ્યું હતું. તેમાં 1.83 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, નિફ્ટી રિયલ્ટી 1.33 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 1.01 ટકા, નિફ્ટી ઓટો 0.88 ટકા, નિફ્ટી આઇટી 0.87 ટકા, નિફ્ટી મેટલ 0.60 ટકા ઘટ્યા.
જિયોજીત ઇન્વેસ્ટમેન્ટના રીસર્ચ વિભાગના પ્રમુખ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, રોકાણકારોમાં હાલ સાવધાનીનું વલણ છે. બજારો યુએસ ટેરિફની સંપૂર્ણ અસરને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ મુદ્દાને ચાલુ રાખવાથી કેટલાક ક્ષેત્રોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા પર અસર પડી શકે છે. સામાન્ય રીતે, આનાથી રૂપિયા પર પણ દબાણ આવશે, જેના કારણે તેનું અવમૂલ્યન થવાની સંભાવના છે.
તેમણે કહ્યું, "ઇક્વિટી બેન્ચમાર્ક નબળા રહ્યા. મિડ અને સ્મોલ કેપ શેરો જોખમ ટાળવા અને ઊંચા મૂલ્યાંકનથી વધુ પ્રભાવિત થયા. તેનાથી વિપરીત, એફએમસીજી શેરો તેજીમાં રહ્યા. આ જીએસટી દરોમાં સંભવિત ઘટાડા અને મજબૂત ગ્રાહક માંગને કારણે છે. એકંદરે, બજાર હજુ પણ ટેરિફ અવરોધોને કામચલાઉ માને છે. આશા છે કે ભવિષ્યમાં વેપાર વાટાઘાટોમાં પ્રગતિ થશે. પરંતુ બંને પક્ષો વચ્ચે મજબૂત વાતચીતનો અભાવ અનિશ્ચિતતા વધારી રહ્યો છે અને બજારમાં મૂંઝવણ પેદા કરી રહ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 2%થી વધુ ઘટ્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 2.32 ટકા ઘટીને રૂ. 1,355 પર બંધ થયા. 18 એપ્રિલ પછી આ શેરનું સૌથી નીચું સ્તર છે. રિલાયન્સ જિયોની 2026ના મધ્ય સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવાની યોજના હોવા છતાં શેર ઘટ્યા હતાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી એજીએમની વચ્ચે શુક્રવારો મુકેશ અંબાણીની માલિકીવાળી મોટા ભાગની લિસ્ટેડ કંપનીઓના શેરો સુધારા સાથે બંધ રહ્યા. ઇન્ફોમીડિયા પ્રેસ 4.8 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 0.2 ટકા, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.5 ટકા અને જીટીપીએલ હેથવે 2.1 ટકા વધ્યા હતા.
નિફ્ટી આઉટલૂક
કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણના મતે, નિફ્ટી પર 24,600નું સ્તર ડે ટ્રેડર્સ માટે એક મહત્વપૂર્ણ સ્તર છે. જો નિફ્ટી આ સ્તરથી નીચે ટકી રહે છે, તો તે ઇન્ડેક્સને 24,350થી 24,300 સુધી ખેંચી શકે છે. બીજી બાજુ, જો નિફ્ટી 24,600 થી ઉપર જાય છે, તો તેજી 20-દિવસની સિંપલ મૂવિંગ એવરેજ (એસએમએ) 24,725 અને કદાચ 24,800 સુધી પણ વિસ્તરી શકે છે.

