RBI Rules: એક દિવસમાં બેન્ક કેટલી ફાટેલી નોટો બદલી આપે? જાણો નવા નિયમો

RBI Rules: ઘણીવાર લોકો પાસે ફાટેલી, ગંદી અથવા રંગ લાગી ગયો હોય તેવી ચલણી નોટ આવી જાય છે. ઘણી વાર ATMમાંથી પણ આવી નોટો નીકળી આવે છે, જેનાથી લોકો પરેશાન થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણીવાર દુકાનદારો પણ આવી નોટ લેવાનો ઈનકાર કરી દે છે અને લોકોને ઘણીવાર તેને કેવી રીતે બદલવી તેની જાણકારી પણ નથી હોતી. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ નોટોને બદલવા અંગે કયા નિયમો બનાવ્યા છે અને એક દિવસમાં કેટલી નોટ બદલી આપે છે.
એક દિવસમાં કેટલી નોટ બદલી શકાય છે?
RBIના નિયમો પ્રમાણે એક વ્યક્તિ એક દિવસમાં વધુમાં વધુ 20 નોટ બદલાવી શકે છે. આ નોટોની કુલ કિંમત 5,000થી વધુ ન હોવી જોઈએ. આવા કિસ્સામાં બેન્ક કાઉન્ટર પર જ તરત ચુકવણી કરી દે છે. બીજી તરફ જો નોટોની કુલ કિંમત તેનાથી વધુ હશે, તો બેંક નોટો સ્વીકારશે અને પૈસા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત 50,000થી વધુ કિંમતની નોટો બદલવાની પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે
શું બેન્ક નોટ બદલવાની ફીસ લે છે?
RBIની ગાઈડલાઈન પ્રમાણે ફાટેલી નોટો બદલવા માટે સામાન્ય રીતે કોઈ ફીસ લેવામાં નથી આવતી. જો કે, નોટની સ્થિતિ પર નિર્ભર કરે છે કે, પૂરા પૈસા મળશે કે નહીં. કેટલાક મામલે ખાસ કરીને વધુ ખરાબ નોટો પર ઓછા પૈસા પણ મળી શકે છે. બીજી તરફ બેન્કો એવી તમામ નોટો બદલી આપે છે જેની ઓળખ સ્પષ્ટ થઈ શકે અને જરૂરી સિક્યુરિટી ફિચર્સ ધરાવે છે. તેમાં ગંદી, ફાટેલી અથવા થોડી ક્ષતિગ્રસ્ત નોટો સામેલ છે. જો કોઈ નોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોય અથવા ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય, તો બેન્ક તેને બદલવાનો ઈનકાર કરી શકે છે.
વધુ ખરાબ નોટોનું શું થશે?
એવી નોટ જે ખરાબ રીતે બળી ગઈ હોય, પરસ્પર ચોંટી ગઈ હોય અથવા ખૂબ ખરાબ સ્થિતિમાં હોય તેને સામાન્ય બેન્ક શાખાઓ સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે. આવી નોટો RBIના ઇશ્યૂ ઓફિસમાં બદલી શકાય છે, જ્યાં તેનું અલગથી મૂલ્યાંકન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, RBIએ એ પણ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બેન્ક ફાટેલી અથવા ગંદી નોટો બદલવાનો ઈનકાર ન કરી શકે. બેન્કો નોટના બાકીના ભાગના આધારે નોટનું મૂલ્ય નક્કી કરે છે અને તે હિસાબે ચુકવણી કરે છે.
ઓછા મૂલ્યની નોટ પર પૂરા પૈસા
RBIના નિયમો પ્રમાણે 1 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીની નોટોમાં અડધા પૈસા આપવાનો કોઈ નિયમ નથી. આવી નોટોના બદલામાં પૂરા પૈસા આપવામાં આવે છે. જોકે, 50 થી 500 રૂપિયા સુધીની નોટો માટે પરિસ્થિતિના આધારે થોડો ઘટાડો થઈ શકે છે. RBIએ એપ્રિલ 2017માં જારી કરેલા દિશા-નિર્દેશોમાં કહ્યું હતું કે, તમામ બેન્કો ગ્રાહકોની ફાટેલી નોટો બદલવા માટે બંધાયેલી છે. આ સેવા મફત છે અને તેના માટે કોઈ એક્સ્ટ્રા ફી ન લઈ શકાય.

