VIDEO: ચોટીલામાં બુલડોઝરની ગર્જના: 16 કરોડની સરકારી જમીન પરની 'અમરદીપ હોટલ' જમીનદોસ્ત!
VIDEO: રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પરના દબાણ હટાવવાની કડક સૂચના બાદ, આજે ચોટીલા વહીવટી તંત્ર દ્વારા એક બહુ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે 47 પર મઘરીખડા ગામની સીમમાં આવેલી વિખ્યાત 'અમરદીપ હોટલ'ના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ચોટીલા તાલુકાના મઘરીખડા ગામના સરકારી સર્વે નંબર 86/1 વાળી જમીનમાં અંદાજે 10 એકર જેટલી કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવ્યો હતો. આ જમીન પર છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર (રહે. નાના કાંધાસર) દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરી 'અમરદીપ હોટલ' બનાવી તેનો વેપાર અને ધંધા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
તંત્રની સંયુક્ત કાર્યવાહી: 16.37 કરોડની જમીન થઈ ખુલ્લી
આજ રોજ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી નીચે મુજબના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા:
અમરદીપ હોટલ (મુખ્ય બિલ્ડિંગ), પંચરની દુકાન (હાઈવેને અડીને આવેલી) ટોયલેટ-બાથરૂમ બ્લોક, પાણીના વિશાળ ટાંકા, અન્ય પાકી ઓરડીઓ
આ ઓપરેશન દ્વારા તંત્રએ અંદાજે રૂ. 16,37,61,000/- (સોળ કરોડ સાડત્રીસ લાખ એકસઠ હજાર) ની કિંમતની સરકારી જમીન ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવી છે.
દંડનીય કાર્યવાહીની તૈયારી
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, આ દબાણ ઘણા લાંબા સમયથી હતું. આથી માત્ર જમીન ખુલ્લી કરીને સંતોષ માનવામાં નહીં આવે, પરંતુ જેટલા સમયથી આ જમીનનો ઉપયોગ થયો છે તેની તપાસ કરી, વાર્ષિક બિનખેતીના જંત્રીના 1 ટકાના દરે વસૂલાત કરવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

