VIDEO: MORNING BULLETIN / સ્પેનમાં ઘૂસનારા હજારો લોકો થોડા જ કલાકોમાં પાછા ફર્યા, ઓખા બંદરે લગાવ્યું નંબર 3નું સિગ્નલ, હેપ્પી બર્થડે પાટનગર!
સ્પેનમાં ઘૂસનારા હજારો લોકો થોડા જ કલાકોમાં પાછા ફર્યા
સ્પેનના સ્યુટા પ્રદેશમાં મોરોક્કોથી આવેલા 50,000 થી વધુ પ્રવાસીઓમાંથી મોટાભાગના હવે સ્વયંભૂ પાછા ફરી રહ્યા છે. ગત ગુરુવાર-શુક્રવાર વચ્ચે સર્જાયેલા સ્થળાંતર સંકટમાં 57 લોકોના મોત થયા હતા. મોરોક્કન સુરક્ષા દળોએ લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પ્રવાસીઓને ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા ન મળતા તેઓ પરત જઈ રહ્યા છે.
મૈસુરમાં યોજાયો PM નરેન્દ્ર મોદીનો રોડ શો
કર્ણાટકના મૈસુર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશાળ અને રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાને દસરા સરઘસના રૂટ પર ખુલ્લી જીપમાં જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. આ ભવ્ય રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુએ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.
રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે સાંભળી પીડિત પરિવારની વ્યથા
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET પેપર લીક મામલે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લઈને તેમની વ્યથા સાંભળી હતી. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને તેમણે દેશની પરીક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા અને પેપર લીકના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતુ.
ઓખા બંદરે લગાવ્યું નંબર 3નું સિગ્નલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે, આવામાં ઓખા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. NDRF ની ટીમને સ્ટેન્ડ-બાય કરવામાં આવી છે. ગોમતીઘાટ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.
હું શું કરું મારા પંચાયતમાં પણ પાણી ભરાયું છે: ભાજપ - સરપંચ
ખેડાના વસોમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકોએ રોષે ભરાઈને સરપંચને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે સરપંચને પાણીના નિકાલ માટે કહ્યું તો સરપંચ દિપક દલવાડીએ એવું જણાવ્યું કે, મારે પણ પંચાયતમાં પાણી ભરાયું છે હું કોને કહું? આ જવાબ સાંભળી સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.
ગાંધીનગરે પૂર્ણ કર્યા ૬૧ વર્ષ, હેપ્પી બર્થડે પાટનગર!
ગાંધીનગરનો ૨ ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ સાબરમતીના કિનારે પાયો નાખવામાં આવ્યો હતો. ગુજરાતની રાજધાની ગાંધીનગરે ૬૧ વર્ષ પૂરા કર્યા છે. મહાગુજરાત આંદોલન બાદ ૧૯૬૦માં અલગ રાજ્ય મળ્યા પછી નવી રાજધાની તરીકે વિકસિત કરવામાં આવેલું આ શહેર આજે ગુજરાતના સ્વાભિમાન, આયોજન અને હરિયાળીનું પ્રતીક બની ગયું છે.
મચ્છુ-3 ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા
મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધતા ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આજનું રાશિફળ
આજે વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો માટે દિવસ વધુ શુભ અને લાભદાયક રહેશે. જ્યારે મેષ, મિથુન, ધન અને મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, ખર્ચ અને મહત્વના નિર્ણયો બાબતે વિશેષ સાવધાની રાખવી હિતાવહ રહેશે. કર્ક, કન્યા, તુલા અને મકર રાશિના જાતકો માટે મહદઅંશે આજનો દિવસ સારો રહેશે.
આજનું પંચાંગ
પંચાંગ અનુસાર આજે અષાઢ વદ ચોથ (સંકષ્ટી ચતુર્થી) છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્ર અને અતિગંડ યોગનો સંયોગ હોવાથી દિવસ ભગવાન શ્રી ગણેશની ઉપાસના, જપ-તપ અને આધ્યાત્મિક કાર્યો માટે વિશેષ શુભ માનવામાં આવે છે. નવા કાર્યની શરૂઆત માટે બપોરનું અભિજિત મુહૂર્ત વધુ અનુકૂળ ગણાય છે, જ્યારે રાહુકાળ દરમિયાન શુભ કાર્યો ટાળવા.
આજનો ઇતિહાસ
2 ઓગસ્ટ, 1920ના રોજ મહાત્મા ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆતનો ઐતિહાસિક આહ્વાન કર્યો હતો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને બ્રિટિશ સરકારની દમનકારી નીતિઓના વિરોધમાં શરૂ થયેલા આ આંદોલને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને નવી દિશા આપી હતી.
એક સુંદર વિચાર સાથે દિવસની સકારાત્મક શરૂઆત કરીએ
"જીવનમાં સફળતા મેળવવા માટે સપના જોવું જરૂરી છે, પરંતુ તે સપનાઓને સાકાર કરવા મહેનત કરવી તેનાથી પણ વધુ જરૂરી છે."

