EVENING BULLETIN: દેશમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, નડિયાદમાં ભાજપ નેતા પર હુમલો, બંજી જમ્પિંગમાં યુવતીને સુરક્ષા દોરડું બાંધ્યા વગર જ ફેકી દીધી!
ટ્રમ્પની આશા પર પાણી ફર્યું!
એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ ઈઝરાયલે દક્ષિણ લેબેનોન પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે.
ક્રૂડ ઓઈલની સપ્લાયના આધારે નક્કી થશે પેટ્રોલ અને ડીઝલના ભાવ
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં ઇંધણના ભાવ શું રહેશે, તેનો સંપૂર્ણ આધાર વૈશ્વિક બજારમાં કાચા તેલની ઉપલબ્ધતા અને સપ્લાય પર રહેશે.
દેશમાં ચોમાસાની તોફાની એન્ટ્રી
દેશના 8 રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અત્યંત સક્રિય થઈ છે. ચોમાસું માત્ર ૯ દિવસમાં ૧૯ રાજ્યો સુધી પહોંચી ગયું છે, જ્યારે યુપી-એમપીમાં આંધી-વંટોળના કારણે ૫ લોકોના મોત થયા છે.હવામાન વિભાગ અનુસાર, આગામી ૧૪ જૂનથી ૫ જુલાઈની વચ્ચે ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશી જશે.
દેહરાદૂનમાં પાણી મુદ્દે હિંસા
ઉત્તરાખંડના દેહરાદૂનમાં ખેતરમાં પાણી વાળવા જેવા સામાન્ય મુદ્દે બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું થયું. આ હિંસક અથડામણમાં એકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે સાંપ્રદાયિક તણાવ વ્યાપી ગયો છે.
બંજી જમ્પિંગમાં મોટી બેદરકારી
બ્રાઝિલમાં એડવેન્ચર કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. 24 વર્ષની યુવતીને સુરક્ષા દોરડું (બંજી કોર્ડ) બાંધ્યા વિના જ ૩૫ મીટરની ઊંચાઈએથી નીચે કૂદવા દેવાઈ, જેથી તેનું દર્દનાક મોત નીપજ્યું.
બાંગ્લાદેશી ક્રિકેટરને લાકડીઓથી માર્યો!
બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રિકેટર નઈમ હસનને પોલીસે નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તમીમ ઇકબાલે આ ઘટનાની આકરી નિંદા કરી તપાસની માંગ કરી છે.
અમદાવાદમાં પોલીસ સાથે ગેરવર્તણૂક
અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં અસામાજિક તત્વો પોલીસ વાનમાં બેઠેલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરતા દેખાય છે. નરોડા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
નડિયાદમાં ભાજપ નેતા પર હુમલો
નડિયાદની વ્યસ્ત ડી-માર્ટ ચોકડી પાસે ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પરમાર પર જૂની અદાવતમાં ૪૦ જેટલા લોકોના ટોળાએ ધોળા દિવસે જીવલેણ હુમલો કર્યો. ઘાયલ નેતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભાજપ ધારાસભ્ય ભગા બારડની નારાજગી
ગીર સોમનાથમાં તલાલાના ભાજપ ધારાસભ્ય ભગા બારડે જાહેર મંચ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના કામો અટકાવવામાં આવે છે અને જો ૫૦ ટકા લોકો કહેશે તો તેઓ રાજીનામું આપી દેશે.

