VIDEO: NEWS AFTERNOON/ અયોધ્યા રામ મંદિરમાં દાનચોરી બાદ જમીન કૌભાંડ! ટ્રમ્પ ભારતમાં કરી રહ્યા છે મબલખ કમાણી, વલસાડમાં મેઘતાંડવ
વેનેઝુએલામાં ભૂકંપે સર્જ્યો મહાવિનાશ!
વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. લા ગુએરા રાજ્યમાં તમામ સરકારી અધિકારીઓના મોત થયા છે અને ૧૮૯ ઇમારતો ધ્વસ્ત થઈ છે. આ આપત્તિમાં ૨૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૫૦,૦૦૦થી વધુ લોકો હજુ પણ લાપતા છે. અમેરિકા સહિત ૨૧ દેશોની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ છે.
અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી બાદ હવે જમીન કૌભાંડ!
રામ મંદિરમાં દાન ચોરીની તપાસ હવે મોટા જમીન કૌભાંડ સુધી પહોંચી ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથે SITનો કાર્યકાળ લંબાવતા ટીમ બીજા તબક્કાની તપાસ માટે અયોધ્યા પહોંચી છે. જમીન ખરીદીના દસ્તાવેજો, રજિસ્ટ્રી અને બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.
ટ્રમ્પ ભારતમાં કરી રહ્યા છે મબલખ કમાણી!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 2.3બિલિયનની કુલ કમાણીના સત્તાવાર આંકડા જાહેર થયા છે. ભારતના 6 શહેરોમાંથી લાયસન્સિંગ ફી દ્વારા તેમણે 10 મિલિયન ડોલર કમાવ્યા છે, જેમાં ગુરુગ્રામથી સૌથી વધુ 3.6 મિલિયન ડોલર મળ્યા છે. આ સિવાય મિડલ ઈસ્ટના દેશો અને વર્ષ 2025માં કૌટુંબિક ક્રિપ્ટો બિઝનેસમાંથી તેમને 1.4 અબજ ડોલરનો બમ્પર નફો થયો છે.
કાશ્મીરી ધર્મગુરુએ શરત ન માનતા ખામેનેઈના જનાજામાં જતા રોક્યા!
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈના જનાજામાં જવા નીકળેલા કાશ્મીરના શિયા ધર્મગુરુ આગા સૈયદ હસનને દિલ્હી એરપોર્ટ પર રોકી દેવાયા છે. ઇમિગ્રેશન અધિકારીઓએ 'ભારત વિરોધી નિવેદન નહીં આપવાની' મૂકેલી શરતનો ઇનકાર કરતાં તેમનો પાસપોર્ટ જપ્ત કરી શ્રીનગર મોકલી દેવાયો છે. જો કે, ઈરાનના ખાસ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને શિયા નેતા ઇમરાન અંસારી તેહરાન જવા રવાના થઈ ચૂક્યા છે.
વલસાડમાં મેઘતાંડવ: બે કલાકમાં સવા છ ઈંચ વરસાદ, આખું શહેર
વલસાડમાં વહેલી સવારથી તૂટી પડેલા ધોધમાર વરસાદે આખા શહેરને પાણી-પાણી કરી દીધું છે. માત્ર બે કલાકમાં 6.10 ઈંચ વરસાદ ખાબકતા સાયન્સ કોલેજ કેમ્પસ, તિથલ રોડ અને રેલવે ગરનાળા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર જળબંબાકાર થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી જાહેર કરી હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢના માંગરોળમાં આકાશી આફત: 12 કલાકમાં 12 ઈંચ વરસાદ
જૂનાગઢના માંગરોળમાં છેલ્લા 48 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. માત્ર 12 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જૂનાગઢ-કેશોદ-માંગરોળ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે, જ્યાં મુસાફરોથી ભરેલી એક એસટી બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. પૂરની સ્થિતિને પહોંચી વળવા કેશોદ ખાતે NDRFની 30 સભ્યોની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
રાજકોટમાં એલ્યુમિનિયમ પ્લેટ ચોર ગેંગનો પર્દાફાશ!
રાજકોટમાં બાંધકામ સાઇટને નિશાન બનાવી એલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આરોપીઓ રાત્રિના અંધારાનો લાભ લઈ અલગ-અલગ સાઇટ્સ પર ચોરી કરતા હતા અને અત્યાર સુધીમાં 4 ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ₹18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સુરેન્દ્રનગરમાં 26 દિવસમાં જ નવો રોડ તૂટ્યો!
સુરેન્દ્રનગરના વઢવાણમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો તદ્દન નવો રેલવે સ્ટેશન બાયપાસ રોડ માત્ર ૨૬ દિવસમાં જ તૂટી જતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરોની ગેરરીતિ સામે આવી છે. રસ્તાની નબળી કામગીરીને પગલે સુરેન્દ્રનગરના મેયરે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે.

