VIDEO: EVENING BULLETIN / વંદે માતરમ્ વિવાદ પર ખડગેના ભાજપ પર પ્રહાર, સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીનું મોત
તીસ્તા પ્રોજેક્ટ મુદ્દે બાંગ્લાદેશ-ચીન ગઠબંધન
બાંગ્લાદેશ હવે ચીનના સહયોગથી તીસ્તા નદીના પુનરુત્થાન પ્રોજેક્ટ પર આગળ વધી રહ્યું છે. બાંગ્લાદેશે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખીને તેના હિતો સમજવા અપીલ કરી છે અને દાયકાઓ જૂના જળ વહેંચણી વિવાદનો વાતચીત દ્વારા ઉકેલ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
વંદે માતરમ્ વિવાદ પર ખડગેના ભાજપ પર પ્રહાર
વંદે માતરમ્ ગીત વિવાદ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, જે ગીત ગાંધીજી, નેહરુ અને વાજપેયીજી ગાતા હતા એ જ મેં ગાયું છે. જો આ ગીત ગાવું ગુનો હોય તો અમારા પર નહીં પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પર કેસ કરો.
હિમાચલમાં IAS-IPS કેડર ઘટશે
૧ લાખ કરોડથી વધુના દેવા વચ્ચે હિમાચલ પ્રદેશ સરકારે વહીવટી ખર્ચ ઘટાડવા IAS, IPS અને IFS અધિકારીઓની મંજૂર સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વાર્ષિક રૂ. ૨૦૦ કરોડ બચાવવા માટે સરકાર ટૂંક સમયમાં કેન્દ્રને ઔપચારિક પ્રસ્તાવ મોકલશે.
બિહાર વિદ્યાર્થી આંદોલન સુપ્રીમ કોર્ટમાં
બિહારમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પોલીસ કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કરી બળપ્રયોગના આક્ષેપો ફગાવ્યા છે અને જણાવ્યું કે પ્રદર્શન હિંસક બનતાં અનેક પોલીસકર્મીઓ અને અધિકારીઓ પણ ઘાયલ થયા હતા.
સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીનું મોત
સુરતના વરાછામાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના ૫ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન ૫ વર્ષની માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટમાં 1.50 કરોડનો ગાંજો ઝડપાયો
રાજકોટ SOG ટીમે ઓરિસ્સાથી મંગાવેલો ૨૦૦ કિલોથી વધુ ગાંજાનો ઐતિહાસિક જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી બે આરોપીઓની ધરપકડ કરી ટ્રક સહિત ₹૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેની વધુ તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે.

