VIDEO: AFTERNOON NEWS / 'ટ્રમ્પ-નેતન્યાહુની હત્યા કરીને જ જંપીશું', POKના સ્થાનિક નેતાઓએ ભારત પાસે માગી મદદ, ગુજરાતના 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
'ટ્રમ્પ-નેતન્યાહુની હત્યા કરીને જ જંપીશું'
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલિ ખામેનેઈની અંતિમ યાત્રામાં રવિવારે કરોડો લોકો તહેરાનના રસ્તા પર ઉમટી પડયા હતા. મંચ પરથી ઈરાનીઓએ ખુલ્લેઆમ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યા આપણી ફરજ છે, દુનિયાનો સૌથી ખરાબ માણસ હજુ સુધી જીવીત શા માટે છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભારત માટે રાહતના સમાચાર
પશ્ચિમ એશિયા માં ચાલી રહેલા ભારે તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલી વિપરીત અસર વચ્ચે ભારત માટે એક ખૂબ જ મોટા રાહતના સમાચાર આવ્યા છે. ભારતના કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતો માટે જરૂરી એવું ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા 15 દરિયાઈ જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે.
POKના સ્થાનિક નેતાઓએ ભારત પાસે માગી મદદ
પીઓકેમાં પાકિસ્તાન સરકાર અને સૈન્ય વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને દબાવવા માટે હવે પાક. સરકાર બળજબરી કરી રહી છે. એવામાં ગુસ્સે ભરાયેલા પીઓકેના નાગરિકોએ તેમજ સ્થાનિક નેતાઓએ ભારત પાસે મદદ માગી છે.
પાટણમાં મતગણતરી રોકાતા હોબાળો
પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સાંજે છ વાગ્યે ગણતરી શરૂ કરવામાં આવી હતી. જોકે, માત્ર 500 થી 600 મતોની ગણતરી થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા અચાનક કામગીરી બંધ કરી દેતા ભારે હોબાળો મચ્યો હતો. ચૂંટણીમાં ફરજ પર રહેલા શિક્ષક-શિક્ષિકાઓને સોમવારે શાળાએ જવાનું હોવાથી ગણતરી અટકાવવાનો નિર્ણય લેવાયો હતો. વહીવટી તંત્રના આ અણઘડ નિર્ણયને કારણે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.
વડોદરામાં પોલીસની હાજરીમાં જ બે પક્ષો વચ્ચે મારામારી
વડોદરાના ભાયલી વિસ્તારમાં ધાર્મિક સ્થાનના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન મામલો ગરમાયો હતો અને ૨૫થી ૩૦ લોકોના ટોળાએ સ્થાનિકો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસની હાજરીમાં જ બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
દેશભરમાં મેઘતાંડવ
મુંબઈ અને ગુજરાત સહિત દેશભરમાં વરસાદે તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. ઉજ્જૈન અને ઉત્તરાખંડમાં પણ અતિ ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. લોકોનું જનજીવન ઠપ થઇ ગયું છે જ્યારે અનેક રસ્તા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. મુંબઈમાં પણ ભૂસ્ખલન જેવી ઘટનાને પગલે હાઈવે બંધ થયો છે.
ગુજરાતના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદની નવી આગાહી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસો રાજ્યના અનેક ભાગો માટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 10.79 ઇંચ (274 મીમી) નોંધાયો છે.
જૂનાગઢમાં ભારે વરસાદમાં કોઝવે તણાયો
જૂનાગઢના માળીયાહાટીના તાલુકાના પિખોર ગામે ભારે વરસાદ બાદ ગામનો મુખ્ય કોઝવે તણાઈ જતા પિખોરથી માંગરોળ સુધીનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ કનેક્ટિવિટી તૂટવાથી ગામના 60થી વધુ ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે. પોતાના ખેતરો સુધી પહોંચવા માટે ખેડૂતો જીવના જોખમે પુલ નીચે પથ્થરો ગોઠવીને પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક ધોરણે તંત્રને રસ્તા અને કોઝવેના રિપેરિંગની માંગ કરી છે.

