VIDEO: AFTERNOON NEWS / સાઉદી પર હુથી બળવાખોરોનો મોટો હુમલો, ટ્રોલ બાદ હવે સરકાર CNG અને PNGમાં ભળશે બાયોગેસ, પાલિકાની બેદરકારીથી બાળકનું મોત
અમેરિકા-ઈઝરાયલને હંફાવનારા ઈરાનનો માસ્ટર પ્લાન
અમેરિકા અને ઈઝરાયલને આર્થિક ફટકો આપવા ઈરાને મોટો માસ્ટર પ્લાન બનાવ્યો છે. સંસદીય સમિતિના ડ્રાફ્ટ મુજબ, શત્રુ દેશોના જહાજો માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દરિયાઈ માર્ગ બંધ થઈ શકે છે. નિયમ તોડનાર જહાજ પાસેથી ૨૦ ટકા સુધીનો તગડો દંડ વસૂલવાની તૈયારીઓ ચાલી રહી છે, જેનાથી વૈશ્વિક વેપારમાં મોટો ભૂકંપ આવી શકે છે.
સાઉદી પર હુથી બળવાખોરોનો મોટો હુમલો
યમન સરહદ નજીક આવેલા સાઉદી અરેબિયાના નજરાનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ રોકેટ હુમલો કર્યો છે. ૨૦૨૨ના યુદ્ધવિરામ બાદ થયેલા આ ભયાનક હુમલામાં ૪ વર્ષના બાળક સહિત ૧૧ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાઉદી સેનાએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે.
NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું
NEET-UG ૨૦૨૬ પેપર લીક કેસમાં CBI એ ધડાકો કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે પેપર કોઈ પ્રિન્ટિંગ પ્રેસમાંથી નહીં, પરંતુ NTA ના જ વિષય નિષ્ણાતોએ પોતાના પદનો દુરુપયોગ કરીને લીક કર્યું હતું. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દાખલ થયેલી આ ચાર્જશીટ પર ૧૦ ઓગસ્ટે સંજ્ઞાન લેવામાં આવશે.
હવે CNG અને PNG માં ભળશે બાયોગેસ
પેટ્રોલ બાદ હવે સરકાર CNG અને PNG માં કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) નું મિશ્રણ કરવા જઈ રહી છે. કેન્દ્ર કેબિનેટે ₹૨૩,૭૩૧ કરોડના બજેટ સાથે 'ગોબરધન' યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. ૧૦ ઓગસ્ટે 'વિશ્વ જૈવ-ઈંધણ દિવસ' પર આ યોજનાનો પ્રારંભ થવાની શક્યતા છે, જે દેશનું ઉત્પાદન ૧૦ ગણું વધારશે.
ડબ્બા ટ્રેડિંગ કેસમાં ASI સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના રતનપરમાં ASI સંજયસિંહ રાઠોડના ઘરેથી ૩ વર્ષથી ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે ASI ને સસ્પેન્ડ કરી દીધા છે. ૧૦૦ કરોડ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારોની આશંકા વચ્ચે, ધરપકડથી બચવા ફરાર થયેલા ASI ની જેતપુર પોલીસ શોધખોળ કરી રહી છે.
ઉધારી માગતા યુવક પર હુમલો
આણંદના કરમસદમાં ગોવર્ધન હોટેલના પાર્કિંગમાં એક યુવકને જાહેરમાં ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. પોતાના ઉછીના આપેલા પૈસા પરત માગવા ગયેલા યુવક પર ૫ શખ્સો તૂટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે તેની માતાએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે.
પાલિકાની બેદરકારીથી બાળકનું મોત
સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાલિકાની કાગળ પરની પ્રિ-મોન્સૂન કામગીરીના કારણે ૩ વર્ષના માસૂમ અજયનો વરસાદી પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મોડી રાત્રે બાળકનો મૃતદેહ મળતાં ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

