VIDEO: Tech News / હવે રિચાર્જ માટે એપ બદલવાની જરૂર નથી! WhatsAppમાં આવ્યું નવું ફીચર, જાણો કેવી રીતે થશે પળવારમાં રિચાર્જ
ચેટિંગ ઉપરાંત WhatsAppમાં હવે અનેક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ધીરે-ધીરે તે લોકોની રોજિંદી જરૂરિયાતો માટેનું એક મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે. હવે કંપનીએ ભારતમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ સીધા વોટ્સએપની અંદર જ મોબાઈલ રિચાર્જ કરી શકશે.
આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે તમારે રિચાર્જ માટે અલગ-અલગ એપ્સ ખોલવાની જરૂર નહીં પડે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચર ધીમે-ધીમે Android અને iOS બંને યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આગામી અઠવાડિયામાં તમામ યુઝર્સ સુધી પહોંચી જશે.
વોટ્સએપની આ નવી સિસ્ટમ પેમેન્ટ કંપની PayU સાથેની ભાગીદારીમાં લાવવામાં આવી છે, જેથી પેમેન્ટ પ્રક્રિયા ઝડપી અને સરળ બની શકે. આ ફીચર આવ્યા બાદ હવે તમે માત્ર તમારો જ નહીં, પરંતુ તમારા પરિવાર કે મિત્રોનો નંબર પણ સરળતાથી રિચાર્જ કરી શકશો.
Jio, Airtel અને Vi જેવા મોટા ટેલિકોમ ઓપરેટરોના તમામ પ્લાન્સ વોટ્સએપની અંદર જ જોવા મળશે, જ્યાંથી તમે તમારી જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરી શકો છો. વોટ્સએપે આ ફીચરને વધુ સરળ બનાવવા માટે એપની હોમ સ્ક્રીન પર એક નવું આઇકન પણ ઉમેર્યું છે. આ આઇકન તમને સીધા પેમેન્ટ સેક્શનમાં લઈ જાય છે. અહીંથી જ તમે રિચાર્જ કરી શકો છો, UPI પેમેન્ટ મોકલી શકો છો અને ઘણા શહેરોમાં મેટ્રો ટિકિટ જેવી સુવિધાઓનો પણ ઉપયોગ કરી શકો છો.
WhatsAppથી આ રીતે થશે મોબાઈલ રિચાર્જ
જો તમે વિચારી રહ્યા હોવ કે વોટ્સએપથી રિચાર્જ કેવી રીતે કરવું, તો તેની રીત ઘણી સરળ રાખવામાં આવી છે. સૌથી પહેલા તમારે એપમાં દેખાતા ₹ આઇકન પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ 'Mobile Prepaid Recharge' નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પછી તમે તમારો અથવા અન્ય કોઈનો નંબર સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ ઓપરેટર કન્ફર્મ કરો અને ઉપલબ્ધ પ્લાન્સમાંથી એક પ્લાન પસંદ કરી લો. પેમેન્ટ માટે તમે UPI, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જેવું તમે પેમેન્ટ કન્ફર્મ કરશો કે તરત જ રિચાર્જ પૂર્ણ થઈ જશે.
રિચાર્જ ઉપરાંત ટિકિટ બુકિંગ સુધીની સુવિધા
વોટ્સએપના જણાવ્યા અનુસાર, ભારતમાં લોકો પહેલેથી જ આ એપનો ઉપયોગ ચેટ, બિઝનેસ અને ઘણી જરૂરી સેવાઓ માટે કરી રહ્યા છે. આજના સમયમાં ઘણા શહેરોમાં લોકો વોટ્સએપ દ્વારા મેટ્રો ટિકિટ બુક કરે છે, બિલ ભરે છે અને સરકારી સેવાઓનો પણ ઉપયોગ કરે છે. એવામાં મોબાઈલ રિચાર્જને પણ આ પ્લેટફોર્મ પર લાવવું એ એક મોટું પગલું માનવામાં આવે છે.
મેટા ઈન્ડિયાના બિઝનેસ મેસેજિંગ ડાયરેક્ટર રવિ ગર્ગે જણાવ્યું છે કે ભારતમાં વોટ્સએપ લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. એવામાં કંપનીનો ફોકસ એ છે કે વધુમાં વધુ કામ એક જ જગ્યાએ સરળ રીતે થઈ શકે. આ જ કારણ છે કે હવે રિચાર્જ જેવી રોજની જરૂરિયાતને પણ વોટ્સએપમાં જોડી દેવામાં આવી છે.
PayU ના ચીફ બિઝનેસ ઓફિસર હેમાંગ દત્તાનીનું કહેવું છે કે લોકોને એ જ સર્વિસ સૌથી વધુ પસંદ આવે છે, જે તેમને એ જ પ્લેટફોર્મ પર મળી જાય જ્યાં તેઓ પહેલેથી જ સમય વિતાવે છે. વોટ્સએપ પર રિચાર્જ લાવવું એ આ જ વિચારધારાનો ભાગ છે, જેથી યુઝર્સ એપ બદલ્યા વગર પોતાનું કામ પૂરું કરી શકે.
નોંધનીય છે કે WhatsApp હવે એક 'ઓલ-ઇન-વન' એપ બનવા તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં ચેટ, પેમેન્ટ, ટિકિટ બુકિંગ અને હવે મોબાઈલ રિચાર્જ જેવી સુવિધાઓ એક જ જગ્યાએ મળશે. આ પ્રકારની એપ્સને 'સુપર એપ' પણ કહેવામાં આવે છે. આગામી સમયમાં એ જોવું રસપ્રદ રહેશે કે WhatsApp બીજી કઈ સેવાઓને પોતાના પ્લેટફોર્મ પર ઉમેરે છે.

