જે 'કટ્ટર દુશ્મન' સામે વર્ષો સુધી લડ્યા, ત્યાં કેમ લઈ જવાશે ખામેનેઈનો પાર્થિવ દેહ?

ઈરાન હાલમાં પોતાના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અવસાનના શોકમાં ડૂબેલું છે. દેશભરમાં તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી રહી છે. જે હાલ શિયા ધાર્મિક શિક્ષણના મુખ્ય કેન્દ્ર ગણાતા 'કોમ' શહેરમાં પહોંચી છે. સૌથી મહત્વની અને દુનિયાભરમાં ચર્ચા જગાવનારી વાત એ છે કે, હવે ખામેનેઈનો દેહ તે દેશમાં લઈ જવામાં આવશે જેની સાથે ઈરાનનો 8 વર્ષ સુધી ભયાનક ઈતિહાસ અને લોહિયાળ સંઘર્ષ રહ્યો છે. ઈરાન તેમના શવને ઈરાક લઈ જવાની તૈયારી કરી રહ્યું છે.
મસ્જિદમાં ઉમટી ભારે ભીડ, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સૂત્રોચ્ચાર
જમકરણ મસ્જિદ પાસે જનમેદની: સોમવાર (6 જુલાઈ)ની મોડી રાત્રે મોટી સંખ્યામાં શોકાતુર લોકો કોમ શહેરની જમકરણ મસ્જિદની આસપાસ એકઠા થયા હતા. સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, મંગળવારે (7 જુલાઈ) લોકોને ત્યાં શ્રદ્ધાંજલિ આપવાની તક મળશે. તેહરાનમાં વિરોધ પ્રદર્શન: આ પહેલાં સોમવારે રાજધાની તેહરાનમાં કાળા કપડાં પહેરીને લાખો લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન ભીડ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોતના નારા લગાવવામાં આવી રહ્યા હતા.
8 વર્ષ સુધી યુદ્ધ લડનારા ઈરાક કેમ લઈ જવાશે મૃતદેહ?
આયતુલ્લા અલી ખામેનેઈનો દેહ 8 જુલાઈના રોજ ઈરાક લઈ જવામાં આવી શકે છે. ત્યાં શિયા સમુદાયના પવિત્ર શહેરો ગણાતા નજફ અને કરબલામાં ધાર્મિક નેતાઓ અને શ્રદ્ધાળુઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
ઈરાન-ઈરાક યુદ્ધનો ઈતિહાસ
વર્ષ 1980 થી 1988 સુધી બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. 1979 માં ઈરાનમાં થયેલી ક્રાંતિ ઈરાકના શિયા બહુમતી ધરાવતા વિસ્તારોમાં ન ફેલાઈ જાય તેવા ડરથી ઈરાકના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ સદ્દામ હુસૈને 1980 માં ઈરાન પર હુમલો કર્યો હતો.
ટ્રમ્પના પોસ્ટર પર પથ્થરમારો: મક્કા-મદીના જેવો નજારો
કોમ શહેરની જમકરણ મસ્જિદમાં ખામેનેઈના શવને રાખવામાં આવ્યું છે, જ્યાંથી તેને કરબલા (ઈરાક) લઈ જવામાં આવશે. આ અંતિમયાત્રા દરમિયાન લોકોમાં અમેરિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકો ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટરો પર પથ્થરો મારી રહ્યા હતા. આ દ્રશ્ય બિલકુલ એવું જ પ્રતીત થતું હતું. જેવું મક્કા-મદીનામાં હજ દરમિયાન 'શૈતાન'ને પથ્થર મારતી વખતે જોવા મળે છે. અંતિમ વિધિના શિડ્યુલ મુજબ, આગામી 9 જુલાઈના રોજ તેમના ગૃહ શહેર મશહદમાં તેમને દફનાવવામાં આવશે.

