VIDEO: પાકિસ્તાનના PM શાહબાઝે આપી યુદ્ધ છેડવાની ધમકી, આઝાદીની ઉજવણીમાં ભૂલી ગયા 'ઓપરેશન સિંદૂર'નો ઘા
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના અવસરે ભારત સામે ફરી એકવાર કડક વલણ દાખવ્યું છે. ઇસ્લામાબાદમાં 'યાદગાર-એ-ફતહ' કાર્યક્રમ દરમિયાન શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિને લઈને ભારતને સીધી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીપું તેની રેડ લાઇન છે. તેમણે કહ્યું કે, જો ભારત પોતાના વલણથી પાછળ નહીં હટે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે.
ભારતે એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત (Hold) કરી દીધી હતી. ત્યારથી જ પાકિસ્તાન અકળાયેલું છે. મે 2025માં 'ઓપરેશન સિંદૂર' હેઠળ પણ પાકિસ્તાનમાં ડીપ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા. શાહબાઝ શરીફે ભારત-પાકિસ્તાનના આ સૈન્ય ટકરાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પાકિસ્તાની PM શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન શાંતિ, સન્માન અને ગૌરવ સાથે ઊભું છે, પરંતુ તેને તેની નબળાઈ ન સમજવી જોઈએ. શરીફે ચેતવણી આપી કે જો ભવિષ્યમાં કોઈએ પાકિસ્તાનની સંપ્રભુતા અને સુરક્ષાને પડકાર ફેંક્યો, તો તેને મે 2025 કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપવામાં આવશે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025ના સંઘર્ષ બાદ બંને દેશો સીઝફાયર (યુદ્ધવિરામ) પર સહમતિ સાધી ચૂક્યા હતા.
ટ્રમ્પને આપ્યો સીઝફાયરનો ક્રેડિટ
શાહબાઝ શરીફે પોતાના ભાષણમાં અગાઉના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમયસર સીઝફાયર કરાવવામાં અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી, જેનાથી લાખો લોકોના જીવ બચ્યા. જોકે, ભારત સીઝફાયરમાં અમેરિકી મધ્યસ્થતાના દાવાને ક્યારેય સ્વીકારતું નથી.
ચીન સાથે દોસ્તી, તુર્કી-સાઉદી સાથે ડિફેન્સ ગઠબંધનનો ઉલ્લેખ
શરીફે ચીનને પાકિસ્તાનનો એવો મિત્ર ગણાવ્યો જે દરેક મુશ્કેલ સમયમાં તેમની સાથે ખડકની જેમ ઊભો રહ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ચીનની દોસ્તી હિમાલય કરતાં પણ ઊંચી છે. આ સાથે તેમણે સાઉદી અરેબિયા સાથે થયેલા રક્ષા સમજૂતી અને તેમાં તુર્કીના સામેલ થવાનો પણ ઉલ્લેખ કર્યો. શરીફે તેને મુસ્લિમ જગત અને સમગ્ર વિસ્તારમાં શાંતિનો સંદેશ ગણાવ્યો હતો.
પાકિસ્તાની વડાપ્રધાનના આ નિવેદનોમાં એક તરફ શાંતિની વાત જોવા મળી, તો બીજી તરફ ભારત સામે કડક ચેતવણી પણ આપવામાં આવી. ખાસ કરીને પાણી અને મે 2025ના સંઘર્ષને લઈને તેમનું વલણ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો થયો હોવા છતાં રાજકીય બાયનબાજી હજુ પણ ચાલુ છે.

