Israel news: ઈઝરાયલમાં જામ સાહેબની પ્રતિમાનું અનાવરણ, 1000 પોલિશ બાળકોનાં બચાવ્યા હતા જીવ

Israel news: ઈઝરાયલના નેવાતિમમાં મહારાજા દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે યહૂદીઓ સહિત લગભગ 1,000 પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો. ભારતીય રાજદૂત જે.પી. સિંહ અને પોલિશ રાજદૂતે તેમને 'માનવતાનું ઉદાહરણ' અને 'આશાનું કિરણ' ગણાવ્યું. દક્ષિણ મોશાવ (ખેડૂતોનો સમુદાય)માં મહારાજા દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ભારતના રજવાડા, નવાનગરના મહારાજાને સોમવારે સાંજે ભારતીય યહૂદી હેરિટેજ સેન્ટર (IJHC) અને કોચીન યહૂદી હેરિટેજ સેન્ટર (CJHC) દ્વારા યુદ્ધ દરમિયાન તેમની 'અનુકરણીય કરુણા' માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. નવાનગરને હાલના સમયે ગુજરાતના જામનગર તરીકે ઓળખાય છે.
1000 પોલિશ બાળકોનાં બચાવ્યા હતા જીવ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે યુરોપ સંઘર્ષ અને સતાવણીમાં ડૂબેલું હતું, ત્યારે મહારાજા જામ સાહેબ એક અસંભવિત તારણહાર તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે લગભગ એક હજાર પોલિશ બાળકોને બચાવ્યા હતા. જામ સાહેબે આ બાળકોને દત્તક લીધા અને 1942માં જામનગરના બાલાચડી ગામમાં તેમના માટે એક આશ્રય બનાવ્યો હતો.
ઈઝરાયલમાં જામ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. આ પ્રસંગે ઈઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી. સિંહે મહારાજાની કરુણાને યાદ કરીને કહ્યું કે, 'માનવતા બધી સીમાઓ પાર કરે છે.' ઈઝરાયલમાં પોલેન્ડના રાજદૂત મેસીજ હુનિયાએ પણ પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે આ સ્થિતિને 'ખૂબ જ ભાવનાત્મક ક્ષણ' તરીકે વર્ણવી હતી. પોલેન્ડના રાજદૂતે જણાવ્યું કે, 'બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમના પરિવારના કેટલાક સભ્યોએ પણ ભયાનક પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો.'
પોલેન્ડના રાજદૂતે કહ્યું કે, 'જ્યારે તેમના દેશના વડાપ્રધાને મહારાજાને પૂછ્યું કે તેઓ તેમના મહાન કાર્યનું વળતર કેવી રીતે ચૂકવી શકાય, ત્યારે તેમણે સ્વતંત્ર પોલેન્ડમાં આવેલા વોર્સોમાં એક શેરીનું નામ તેમના નામ પર રાખવાનું સૂચન કર્યું હતું. આજે ફક્ત તેમના નામ પર એક ચોરસ જ નહીં, પરંતુ પશ્ચિમી શહેરમાં એક સ્મારક અને ટ્રામનું નામ પણ તેમના નામ પર રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે બે પ્રદર્શનો પણ યોજવામાં આવ્યા હતા, જેમાં નેહેમિયા શાહફ દ્વારા ભારતીય યહૂદી વારસાના ચિત્રો અને ટિકજા લવી દ્વારા 'અ રે ઓફ લાઈટ ઇન ડાર્ક ટાઇમ્સ' શીર્ષકનો સમાવેશ થાય છે.'

