VIDEO: ઇસ્લામાબાદ/ સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ, 15 નવજાતનાં મોત
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad)માં બુધવારે એક સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા 15 નવજાત શિશુઓના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS) હોસ્પિટલમાં બની હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલની નર્સરીમાં આગ લાગ્યા બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
નર્સરીમાં હતા 16 નવજાત
મળતી માહિતી પ્રમાણે આગ લાગી ત્યારે નર્સરીમાં કુલ 16 નવજાત બાળકો હાજર હતા. જેમાંથી માત્ર એક બાળકને બચાવી શકાયું હોવાનું હોસ્પિટલ અને સ્થાનિક અધિકારીઓના હવાલાથી જણાવાયું છે. અહેવાલ મુજબ આગ એટલી ભયાનક હતી કે અનેક બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
AC કમ્પ્રેસર ફાટવાથી આગ લાગી?
પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલની નર્સરીમાં લાગેલા એર કન્ડિશનર (AC)ના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હોવાની આશંકા છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. ઘટનાની તપાસ માટે અધિકારીઓએ ઇન્ક્વાયરી કમિટી (Inquiry Committee)ની રચના કરી છે.
ત્રીજા માળે લાગી હતી આગ
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા MCH વોર્ડમાં લાગી હતી. આગની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમો (Rescue Teams) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે છ ફાયર બ્રિગેડ વાહનો અને ચાર એમ્બ્યુલન્સ (Ambulances)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આગ પર કાબૂ, તપાસ શરૂ
રેસ્ક્યૂ અધિકારીઓએ જણાવ્યું કે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને હાલમાં કૂલિંગ ઓપરેશન (Cooling Operation) હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી ફરી આગ ભભૂકી ન ઊઠે. જિલ્લા પ્રશાસને ઘટનાની સંપૂર્ણ તપાસ માટે વધારાના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવી છે.
આ કમિટી આગનું કારણ શું હતું, હોસ્પિટલમાં આગ કેવી રીતે ફેલાઈ અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તેની તપાસ કરશે. ઘટનાએ હોસ્પિટલની ફાયર સેફ્ટી (Fire Safety) અને નવજાત શિશુઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

