'હું ડિસેમ્બરમાં પાછી આવીશ', શા માટે ફરી બાંગ્લાદેશ જવા માગે છે શેખ હસીના?

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina) ડિસેમ્બરમાં દેશમાં પાછા ફરવાની જાહેરાત કરતાં જ બાંગ્લાદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ દેશ છોડ્યાના બે વર્ષ બાદ તેમણે પ્રથમ વખત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ (Virtual PC) દ્વારા સાર્વજનિક સંબોધન કર્યું હતું.
તખ્તાપલટ બાદ તેમના પર બાંગ્લાદેશમાં ૧૫૦થી વધુ કેસો નોંધાયા છે, ૧૦ મામલાઓમાં તેઓ દોષિત ઠર્યા છે અને એક કેસમાં તેમને ફાંસીની સજા (Death Sentence) પણ સંભળાવવામાં આવી છે. તેમ છતાં શેખ હસીનાએ સ્પષ્ટ કર્યું છે કે તેમને જેલ કે મોતનો કોઈ ડર નથી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આટલા જોખમ વચ્ચે પણ તેઓ બાંગ્લાદેશ કેમ પાછા જવા માંગે છે?
૧. પોતાની પાર્ટી અવામી લીગને પુનઃજીવિત કરવી
બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી 'અવામી લીગ' (Awami League) નો બહોળો જનાધાર છે. તાજેતરના એક સર્વે અનુસાર, દેશમાં લોકશાહી જાળવી રાખવા માટે અવામી લીગને જરૂરી માનનારા લોકોની સંખ્યા ૫૭ ટકા જેટલી છે. દેશમાં હાલ કટ્ટરપંથી જમાતનો આતંક વધી રહ્યો છે ત્યારે શેખ હસીના પાછા ફરીને પોતાની પાર્ટીને ફરીથી મજબૂત કરવા અને કટ્ટરપંથીઓ સામે મોરચો મંડવા માંગે છે.
૨. વર્તમાન સરકારનો વિરોધ અને આર્થિક સંકટ
શેખ હસીનાના જણાવ્યા મુજબ દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે. તારિક રહમાનની (Tariq Rahman) સરકારમાં બાંગ્લાદેશનો વિકાસ રુંધાઈ ગયો છે. ભારત સાથેના તણાવને કારણે કાપડ ઉદ્યોગ (Textile Industry) ઠપ થઈ ગયો છે અને મોટું રોકાણ પણ આવી રહ્યું નથી. બંધારણીય સુધારાઓ અને ચૂંટણી મુદ્દે અવામી લીગ લોકો સમક્ષ એ સંદેશ પહોંચાડવા માંગે છે કે તેમનું શાસન દેશના હિતમાં હતું.
૩. પોતાની રાજકીય છબી સુધારવાનો પ્રયાસ
દેશ છોડીને ભાગી ગયેલા નેતા તરીકેની છબીને શેખ હસીના ભૂંસી નાખવા માંગે છે. તેઓ પોતાના રાજકીય કરિયરના અંતિમ તબક્કામાં આ દાગ હટાવીને જનઆંદોલન દ્વારા પોતાની શાખ અને પ્રતિષ્ઠા પાછી મેળવવા પ્રયત્નશીલ છે.
બાંગ્લાદેશ સરકારનો આકરો વિરોધ
શેખ હસીનાના આ સંબોધન બાદ બાંગ્લાદેશ સરકારે તેના પ્રસારણ પર રોક લગાવી દીધી હતી અને આ નિવેદનને 'શહીદોનું અનાદર' ગણાવ્યું હતું. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શેખ હસીનાને મીડિયા પ્લેટફોર્મ આપવા બદલ ભારત સરકાર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને તેમને પ્રત્યાર્પણ સંધિ (Extradition Treaty) હેઠળ સોંપવાની ફરી માંગ કરી છે.

