VIDEO: કેનેડામાં ઇમિગ્રેશન નિયમો કડક: 2026ના પ્રથમ 6 મહિનામાં જ 3,323 ભારતીયોને ડિપોર્ટ કરાયા
ઓટ્ટાવા : કેનેડાએ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં ૩,૩૨૩ ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. આમ ભારતીયોને પરત મોકલવામાં તેણે છેલ્લા છ વર્ષનો રેકોર્ડ વટાવી દીધો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. કેનેડા બોર્ડર સર્વિસીઝ એજન્સી (સીબીએસએ)ના ડેટા મુજબ ચાલુ વર્ષે ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા ૨૦૨૫ના આખા વર્ષમાં ડિપોર્ટ કરાયેલા ૩,૭૭૯ ભારતીયોના ૮૮ ટકાએ પહોંચી ચૂકી છે.
આ ડેટા એવા સમયે આવ્યો છે જ્યારે કેનેડા ઇમિગ્રેશન સિસ્ટમને મજબૂત બનાવી રહ્યુ છે અને કામચલાઉ રહેવાસીઓની સંખ્યા ઘટાડી રહ્યુ છે. તેમા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કામચલાઉ વિદેશી કામદારોનો સમાવેશ થાય છે. કેનેડા મહદ અંશે ભારતીયોને ડિપોર્ટ કરે છે, તેનું કારણ તેઓના દ્વારા ઇમિગ્રેશનના નિયમોનું ન કરાતું પાલન છે, આ ઉપરાંત તે ભારતીયોના આશ્રયના કે નિરાશ્રિતના દાવા નકારે છે, તેની સાથે વિઝા ઓવરસ્ટેઝ અને વિઝા ફ્રોડ સ્કેમમાં પણ ભારતીયો હોવાથી તેમને પરત મોકલે છે.
૨૦૨૬ના પ્રથમ છ ભાગમાં ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયો ટોચ પર છે તો છેલ્લા પાંચ વર્ષમાં થયેલા સરેરાશ ડિપોર્ટેશનમાં મેક્સિકો ટોચ પર આવે છે અને ભારતીયો બીજા નંબરે આવે છે. આ પહેલા ભારતીયોએ ૨૦૨૦માં ટોપ કર્યુ હતુ, જ્યારે ૧,૪૨૪ ભારતીયોને કેનેડામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ૨૦૨૧માં ૬૦૩, ૨૦૨૨માં ૭૮૬, ૨૦૨૩માં ૧,૧૩૩૨ અને ૨૦૨૪માં ૨૦૦૪ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાનું સીબીએસએના આંકડા જણાવે છે.
સીબીએસએ ડિપોર્ટેશન માટેના કારણો દર્શાવતો ડેટાબેઝ અલગ રાખ્યો છે,પરંતુ તેની પાસે કન્ટ્રીવાઇઝ બ્રેકઅપ નથી. ભારતીયોએ કેનેડાની રીમૂવલ ઇન્વેન્ટરીમાં પણ ટોચ પર છે, હજી પણ ૭,૬૬૯ લોકો ડિપોર્ટેશનની રાહમાં હોવાનું સીબીએસએના આંકડાએ જણાવ્યું છે. કેનેડાએ રિમૂવલ ઓર્ડર માટે ત્રણ બ્રોડ કેટેગરી રચી છે.
આ ડિપાર્ચર ઓર્ડર મુજબ આદેશ મળ્યાના ૩૦ દિવસની અંદર વ્યક્તિએ સ્વૈચ્છિક ધોરણે કેનેડા છોડી દેવુ જરુરી હશે, જો તે નહીં કરે તો તેનો ડિપોર્ટેશન ઓર્ડર ફાટશે. આ એકસ્લુઝન ઓર્ડરમુજબ વ્યક્તિ નિયત સમયગાળા સુધી કેનેડા પરત ફરી શકતી નથી. આ સમયગાળો એકથી લઈને પાંચ વર્ષ સુધીનો હોઈ શકે છે. તેના પર કાયમી ધોરણે રીએન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાય છે, સિવાય કે વ્યક્તિએ કેનેડિયન સરકાર પાસેથી મંજૂરી મેળવી હોય. ચાલુ વર્ષે અમેરિકાએ જાન્યુઆરીથી ૨૨ જુલાઈ દરમિયાન ૧,૨૭૩ ભારતીયોને ઘરભેગા કર્યા.

