VIDEO: ANDARNI VAAT / ઉધમપુરમાં અકાળે વરસાદે વેર્યો વિનાશ, પાક બરબાદ થતાં ખેડૂતો વળતરની લગાવી ગુહાર!
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાંથી અકાળે પડેલા વરસાદના લીધે ખેડૂતોની કમર ભાંગી ગઈ છે.. અચાનક થયેલા માવઠા અને પાણીના અયોગ્ય નિકાલ તેમજ નબળા વ્યવસ્થાપનને કારણે રઝાક અહેમદ અને મોહમ્મદ ગની સહિતના અનેક સ્થાનિક ખેડૂતોના કાકડી અને મકાઈ જેવા શાકભાજીના પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. ખેડૂતોએ સરકારી કૃષિ વિભાગ પ્રત્યે ભારે નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે. તેમનો આક્ષેપ છે કે પાકમાં રોગજીવાત ફેલાવા છતાં કૃષિ વિભાગ દ્વારા સમયસર કોઈ યોગ્ય માર્ગદર્શન કે જંતુનાશક દવાઓ જેવી સહાય પૂરી પાડવામાં આવી નથી, જેના કારણે તેમને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતો પોતાની આર્થિક લાચારી વ્યક્ત કરતા જણાવે છે કે ભૂતકાળમાં મળેલી નજીવી સરકારી સહાય છતાં તેમને ખેતી પાછળ પોતાના ખિસ્સામાંથી મોટો ખર્ચ કરવો પડ્યો હતો, જે હવે પાક નિષ્ફળ જતાં પાણીમાં ગયો છે. પીડિત ખેડૂતોએ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ પોતે ખેતરોની મુલાકાત લઈને નુકસાનીનો યોગ્ય અંદાજ લગાવે અને પાણીની નિકાલ પ્રણાલીમાં સુધારો કરીને તાત્કાલિક યોગ્ય વળતર પૂરું પાડે. બીજી તરફ, ઉધમપુરના મુખ્ય કૃષિ અધિકારીએ ખેડૂતોની આ મુશ્કેલીઓની નોંધ લીધી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

