VIDEO: ANDAR NI VAAT/ મધ્યપ્રદેશમાં ભારે વરસાદનો કહેર, અનેક વિસ્તારોમાં પૂરની ગંભીર સ્થિતિ.
મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અતિ ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં અનેત સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બાલાઘાટ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. જ્યાં ભારે વરસાદને પગલે કિરણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાનપુર ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આ દુર્ઘટનામાં 16 ગ્રામજનો પોતાના જ ઘરોમાં ફસાઈ ગયા હતા. પરંતુ સ્થાનિક પ્રશાસને ત્વરિત કામગીરી અને સમયસૂચકતા દાખવીને તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. માહિતી મળતા જ પ્રશાસન દ્વારા તમામ ગ્રામજનોનું લોકેશન મેળવી રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે બારવાનીમાં પણ અનરાધાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે અને સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
બીજી તરફ, ઉજ્જૈનમાં વહેતી પવિત્ર શિપ્રા નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નદીના વધતા જળપ્રવાહને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને નદીના કિનારે ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે અને સાવચેતીના ભાગરૂપે ઉજ્જૈનના પ્રસિદ્ધ ઘાટોને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શિપ્રા નદીનું પાણી ઘાટ પર આવેલા અનેક પ્રાચીન મંદિરોમાં ફરી વળતા તે જળમગ્ન થયા છે, જેને પગલે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નદી કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ભારે વરસાદની શક્યતા હોવાથી સમગ્ર રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સાવધ રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

