VIDEO: શું રોહિત શર્મા સાથે ઈનિંગ ઓપન કરશે વૈભવ સૂર્યવંશી? પૂર્વ ક્રિકેટરે તાત્કાલિક ODIમાં સામેલ કરવાની કરી માંગ
ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચોની T20 સિરીઝમાં ધમાકેદાર જીત મેળવી છે. આ જીતનો સૌથી મોટો હિરો વૈભવ સૂર્યવંશી છે. તેણે ત્રણેય મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે અને આ માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરાયો છે. T20માં વૈભવની વિસ્ફોટક બેટિંગ જોયા બાદ હવે તેને ODI ટીમમાં સામેલ કરવાની માંગ શરૂ થઈ ગઈ છે.
વૈભવને ODIમાં સામેલ કરો : પૂર્વ ખેલાડીની માંગ
વૈભવે ઝિમ્બાબ્વે સામેની 3 મેચમાં કુલ 151 રન બનાવીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નામના મેળવી લીધી છે, ત્યારે ભારતના પૂર્વ વિકેટકીપર-બેટર ફારૂખ એન્જિનિયરે વર્લ્ડ કપ 2027ની તૈયારી માટે વૈભવને તાત્કાલિક ભારતીય ODI ટીમમાં સામેલ કરવાની માંગ કરી છે.
બેટિંગ લાઈન-અપમાં મોટો ફેરફાર કરવો : ફારૂખ એન્જિનિયર
PTI સાથેની વાતચીતમાં ફારૂખ એન્જિનિયરે કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ બેટિંગ લાઈન-અપમાં મોટો ફેરફાર કરવો જોઈએ. ODIમાં ડાબોડી અને જમણેરી બેટરોની પસંદગી કરવાથી ફાયદો થાય છે. વૈભવમાં પાવરપ્લે દરમિયાન મોટા શોટ્સ રમવાની અને ગેપ શોધી કાઢવાની કળા છે.
‘ગિલ શ્રેષ્ઠ બેટર, 4 નંબર પર મોકલો’
ફારૂખે એવું પણ કહ્યું કે, શુભમન ગિલને ઓપનિંગમાંથી હટાવી દેવો જોઈએ અને તેને મિડલ ઓર્ડરમાં મોકલવો જોઈએ, કારણ કે તે હાલમાં સૌથી શ્રેષ્ઠ બેટર છે. જો તેને મિડલ ઓર્ડરમાં મોકલવામાં આવશે તો સ્કોર બનાવવામાં મજબૂતી મળી શકે છે, તેથી ગિલને ચોથા નંબર પર મોકલવો જોઈએ.
ODIમાં ટોપ-4માં કોને મોકલવા જોઈએ?
ODI મેચમાં ભારતીય ટીમ તરફથી ટોપ-4માં કોને મોકલવા જોઈએ, તેવું પૂછવામાં આવતા પૂર્વ ખેલાડીએ કહ્યું કે, ઓપનિંગમાં રોહિત શર્મા અને વૈભવ સૂર્યવંશીને મોકલવા જોઈએ. ત્રીજા નંબર પર વિરાટ કોહલીને અને ચોથા નંબરે શુભમન ગિલને મોકલવા જોઈએ. આમ કરવાથી ભારતને વિશ્વનો સૌથી મજબૂત બેટિંગ ઓર્ડર મળશે.

