સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ ગૌતમ ગંભીર ભારતનો હેડ કોચ રહેશે કે નહીં? BCCI એ લઈ લીધો નિર્ણય!

ભારતીય ટીમને ટેસ્ટ સિરીઝમાં મોટો ઝટકો લાગ્યો છે. એક સમયે ઘરઆંગણે લગભગ અજેય રહેલી ટીમને હવે એક નહીં બે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષની હોમ સિઝનમાં ન્યુઝીલેન્ડ સામે 0-3થી ક્લીન સ્વીપ થયા પછી, હવે સાઉથ આફ્રિકા સામે 0-2થી હારનો સામનો કરવો પડ્યો છે.
આ બે ઝટકોએ ઘરઆંગણે ભારતની લાંબા સમયથી બનેલી છબીને સંપૂર્ણપણે તોડી નાખી છે. હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં 16 મહિનામાં આ ભારતીય ટીમની ત્રીજી ટેસ્ટ સિરીઝ હાર છે. જે ફોર્મેટ એક સમયે ભારતીય ટીમનું સૌથી મજબૂત પક્ષ માનવામાં આવતું હતું, તે અચનાક ટીમની સૌથી મોટી ચિંતા બની ગયું છે
ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઇલ પર પ્રશ્નો ઉભા થયા
નિરાશાજનક ટેસ્ટ સિરીઝ હાર પછી, ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઇલ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેને પદ પરથી હટાવવાની માંગણીઓ પણ તેજ થઈ ગઈ છે. સાઉથ આફ્રિકા સામે 0-2થી ઘરઆંગણે મળેલી હાર બાદ, ગૌતમ ગંભીરે કહ્યું કે BCCI તેનું ભવિષ્ય નક્કી કરશે.
ગંભીર મુખ્ય કોચ રહેશે કે નહીં
એક અહેવાલ મુજબ, BCCIએ ગૌતમ ગંભીરના ભવિષ્ય અંગે નિર્ણય લીધો છે. BCCIના એક સૂત્રએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતનો હેડ કોચ ગૌતમ ગંભીર ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20) માં તેની ભૂમિકામાં રહેશે. આનો અર્થ એ થયો કે તે તેના પદ પર રહેશે અને હાલમાં કોઈ ફેરફારનો વિચાર નથી કરવામાં આવી રહ્યો.
WTC ફાઈનલની આશાઓ પર પાણી ફરી વળ્યું
તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકા સામેની તાજેતરની હારથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ના ચક્રમાં અનિશ્ચિત સ્થિતિમાં મુકાઈ ગયું છે. વર્તમાન પોઈન્ટ્સ ટેબલને ધ્યાનમાં લેતા, એવું લાગે છે કે WTC ફાઈનલમાં પહોંચવાની તેની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

