IND vs SA / ચોથી T20I રદ્દ થયા બાદ શું ફેન્સને પાછા મળશે ટિકિટના પૈસા? જાણો રિફંડ માટે BCCIનો નિયમ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે રમાનારી ચોથી T20I મેચ ભારે ધુમ્મસને કારણે રદ્દ કરવામાં આવી હતી. ધુમ્મસ એટલી ગાઢ હતી કે મેદાન પર વિઝિબિલિટી નહિવત હતી, જેના પરિણામે ટોસ પણ નહતો થઈ શક્યો. મેચ રદ્દ થતા હજારો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા છે, પરંતુ ટિકિટના રિફંડને લઈને તેમને મોટી રાહત મળી શકે તેમ છે.
રિફંડ અંગે શું છે BCCIના કડક નિયમો?
હવે પ્રશ્ન એ છે કે ટિકિટ રિફંડનું શું? શું ફેન્સને તેમના પૈસા મળશે? આ અંગે BCCIના બે નિયમો છે. પહેલા નિયમમાં જણાવાયું છે કે જો એક પણ બોલ ફેંક્યા વિના મેચ રદ કરવામાં આવે છે, તો ટિકિટ બુકિંગ ફી કાપીને સમગ્ર પૈસા ક્રિકેટ ફેન્સને પરત કરવામાં આવશે. બીજા નિયમમાં જણાવાયું છે કે જો મેચ શરૂ થાય અને પછી હવામાનને કારણે રદ્દ કરવામાં આવે, તો ટિકિટના પૈસા પરત નહીં કરવામાં આવે.
ટિકિટ રિફંડ અંગે BCCIના નિયમો જાણ્યા પછી ફેન્સએ નિરાશ થવાની જરૂર નથી. ભલે તેઓ મેચ ન જોઈ શકવાથી નિરાશ થઈ શકે, પરંતુ તેમના પૈસા સુરક્ષિત છે. તે વેડફાશે નહીં. કારણ કે લખનૌમાં T20I મેચ એક પણ બોલ ફેંક્યા વિના રદ્દ કરવામાં આવી હતી.
ફેન્સને પાછા મળશે ટિકિટના પૈસા
ફેન્સને ભલે મેચ ન જોવા મળી હોય, પરંતુ તેમને આર્થિક નુકસાન નહીં થાય. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન અને સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર ટૂંક સમયમાં ટિકિટ રિફંડની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વિગતો શેર કરશે. સામાન્ય રીતે રિફંડ એ જ ખાતામાં અથવા ટિકિટ ખરીદી માટે ઉપયોગમાં લેવાતા માધ્યમમાં કરવામાં આવે છે.
IND vs SA T20I સિરીઝની સ્થિતિ શું છે?
ભારત સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની T20I સિરીઝમાં પ્રથમ ચાર મેચ પછી 2-1થી આગળ છે. ભારતે કટકમાં પ્રથમ T20I જીતી હતી, જ્યારે સાઉથ આફ્રિકાએ મુલ્લાનપુરમાં બીજી T20I જીતી હતી. ભારતે ધર્મશાલમાં ફરીથી ત્રીજી T20I જીતી હતી. ચોથી T20I રદ્દ થયા પછી, બંને ટીમો વચ્ચે સિરીઝની પાંચમી અને છેલ્લી T20I 19મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

