VIDEO / 'ઘઉં વેચીને ટિકિટ ખરીદી...', લખનૌમાં મેચ રદ્દ થતા ભડક્યા ફેન્સ, શેડ્યૂલ પર પણ ઉઠાવ્યા સવાલ

બુધવારે લખનૌમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ચોથી T20I મેચ ધુમ્મસને કારણે રદ્દ થયા બાદ ફેન્સ ગુસ્સે થયા હતા અને BCCI પાસેથી પૈસા પાછા આપવાની માંગ કરી હતી. એકાના સ્ટેડિયમ ભરચક હતું, મોટી સંખ્યામાં દર્શકો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ જોવા આવ્યા હતા.
લખનૌ અત્યાર સુધી ભારત માટે એક સફળ વેન્યુ રહ્યું છે, અહીં ટીમ ઈન્ડિયાએ તેની ત્રણેય મેચ જીતી છે. પરિણામે, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને આ મેચમાં ફાયદો હોવાનું માનવામાં આવતું હતું. આ મેચમાં યજમાન ટીમની જીત સિરીઝ જીત બની શકી હોત, પરંતુ ધુમ્મસના કારણે રમત બગડી ગઈ અને ટોસ પણ ન થઈ શક્યો.
ફેન્સે નારાજગી વ્યક્ત કરી
આ મેચ રદ્દ થતા સ્ટેડિયમની બહાર ફેન્સ સ્પષ્ટપણે નારાજ દેખાઈ રહ્યા હતા. એક વીડિયો ફેન્સ તેમની ટિકિટો ફ્લેશ કરતા અને અધિકારીઓ પાસેથી પૈસા પાછા માંગતા જોવા મળ્યા હતા. વીડિયોમાં, એક ફેને કહ્યું, "હું ત્રણ બોરી ઘઉં વેચીને મેચ જોવા આવ્યો. મને મારા પૈસા પાછા જોઈએ છે" બીજા ફેને કહ્યું કે ટીમ ઈન્ડિયાને મેદાન પર રમતી ન જોઈ શકવાથી તેનું દિલ તૂટી ગયું છે.
આ સિવાય ઘણા ફેન્સ મેચના શેડ્યૂલ પર પણ સવાલ ઉઠાવી રહ્યા હતા. ફેન્સ કહી રહ્યા હતા કે, ધુમ્મસ તો ઘણા દિવસથી વધી રહી હતી તો BCCIએ મેચ સવારે રાખવી જોઈતી હતી. એક ફેને કહ્યું, "આ લોકોને ખબર છે કે ધુમ્મસ પડી રહી છે, તો લખનૌમાં મેચ દિવસના રાખવી જોઈને, સમય બદલી શકતા હતાને, પરંતુ બદલ્યો નહીં. બધું બેકાર થઈ ગયું. દિલ તૂટી ગયું."
ધુમ્મસને કારણે પરિસ્થિતિ કેવી રીતે ખરાબ થઈ?
મેચ સાંજે 7 વાગ્યે શરૂ થવાની હતી, જેમાં ટોસ 6:30 વાગ્યે થવાનો હતો. જોકે, તે પહેલા એકાના સ્ટેડિયમમાં ભારે ધુમ્મસ છવાઈ ગઈ હતી અને પરિસ્થિતિ બગડતી રહી હતી. અમ્પાયર્સે સાંજે 6:30 વાગ્યે તેમનું પ્રથમ નિરીક્ષણ કર્યું અને પછી અડધા કલાક પછી પરિસ્થિતિનું ફરીથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો.
સાંજે 7:30 અને રાત્રે 8:00 વાગ્યે નિરીક્ષણમાં કોઈ સુધારો ન જોવા મળ્યો. આ સમય દરમિયાન, મેદાન પર ઝાકળની પણ અસે હતી. બાઉન્ડ્રી રોવરના વ્હીલ ભીના જોવા મળ્યા અને ગ્રાઉન્ડ સ્ટાફે પિચને બચાવવા માટે તેના પર કવર રાખવું પડ્યું હતું.
વધુ ત્રણ નિરીક્ષણ કરવામાં આવ્યા, પરંતુ કોઈ સકારાત્મક પરિણામ ન મળ્યું. આખરે, મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મેચ રદ્દ થયા બાદ BCCIને તેના શેડ્યૂલ માટે ટીકાનો સામનો કરવો પડ્યો. હવે આ સિરીઝની છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.

