ENG vs IND: ટીમ ઇન્ડિયા માટે માન્ચેસ્ટરથી આવ્યા માઠા સમાચાર! શા માટે અહીં જીતવું ભારત માટે બનશે લોઢાના ચણા ચાવવા જેવું?

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય T20 ટીમની પ્રથમ જીત હજુ બાકી છે. આયર્લેન્ડે તેને બે મેચની શ્રેણીમાં હાર આપી હતી. તેમજ ચેસ્ટર લી સ્ટ્રીટમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. હવે બીજી મેચ આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાવાની છે અને એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા અહીંથી પણ ખાલી હાથે પરત ફરશે.
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતે આ જ વર્ષે માર્ચમાં T20 વર્લ્ડ કપ-2026 જીત્યો હતો. ત્યાર બાદ તેમને કેપ્ટનશીપ અને ટીમમાંથી હટાવીને અય્યરને કમાન સોંપવામાં આવી હતી. અય્યર હજુ પણ તેની પ્રથમ જીતની શોધમાં છે અને માન્ચેસ્ટરમાં તે પૂરી થતી દેખાતી નથી.
ઇંગ્લેન્ડે મચાવ્યું હતું તોફાન
આ મેદાન પર રમાયેલી છેલ્લી T20 મેચને જોઈને આવું કહેવામાં આવી રહ્યું છે. આ મેદાન પર છેલ્લી T20 મેચ યજમાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચ ક્રિકેટ ઈતિહાસના પાના પર નોંધાયેલી છે કારણ કે ઇંગ્લેન્ડની ટીમે અહીં 20 ઓવરમાં બે વિકેટના નુકસાને 304 રન બોર્ડ પર ખડકી દીધા હતા. તે મેચમાં જે બેટ્સમેનોના બેટ ચાલ્યા હતા, તેઓ આ શ્રેણીમાં પણ ટીમનો હિસ્સો છે અને અદ્ભુત તોફાની બેટિંગ કરે છે.
ફિલ સોલ્ટે સાઉથ આફ્રિકા સામે 60 બોલમાં 15 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 141 રન બનાવ્યા હતા. જોસ બટલરે 30 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી જેમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ હતા. જેકબ બેથલે 14 બોલમાં 26 રન અને હેરી બ્રુકે 21 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી. આ તમામ ખેલાડીઓ વર્તમાન શ્રેણીમાં ઇંગ્લેન્ડની ટીમનો હિસ્સો છે અને જો તેમનું બેટ ચાલશે તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ નક્કી છે.
માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડનો દબદબો
આ સિવાય આ મેદાનનો રેકોર્ડ પણ ઇંગ્લેન્ડની તરફેણમાં છે. ઇંગ્લેન્ડે અહીં કુલ 13 T20 મેચ રમી છે, જેમાંથી 7 મેચમાં તેનો વિજય થયો છે જ્યારે ૩ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચનું કોઈ પરિણામ આવી શક્યું ન હતું. આ આંકડા એ દર્શાવવા માટે પૂરતા છે કે અહીં ઇંગ્લેન્ડનો દબદબો છે.

