રોહિત શર્મા 2027નો ODI વર્લ્ડ કપ નહીં રમે તો કોણ લેશે તેનું સ્થાન? આ 2 ખેલાડીઓ છે દાવેદાર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવતા મહિને એક ટેસ્ટ મેચ અને ત્રણ ODI મેચ રમાવાની છે, જોકે તે પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની ફિટનેસને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે રોહિતની ફિટનેસ ચિંતાનો વિષય બની ગઈ છે. આમ તો રોહિતને અફઘાનિસ્તાન સામેની ODI સિરિઝમાં સામેલ કરાયો છે, પરંતુ તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર છે.
રોહિત IPLમાં ઈજાગ્રસ્ત થયો હતો, BCCIને રિપોર્ટ પણ ન આપ્યો
મીડિયા રિપોર્ટ મુજબ, IPL 2026માં રોહિત શર્મા (Rohit Sharma) ને સ્નાયુઓની સમસ્યા થઈ હતી, જેના કારણે તે લગભગ ત્રણ અઠવાડિયાથી મેદાનની બહાર હતો. ચોંકાવનારી વાત એ છે કે, રોહિતે ઈજા અંગે BCCIની સેન્ટર ઓફ એક્સલન્સમાં રિપોર્ટ પણ નહતો આપ્યો. હવે આ જ બાબતે બોર્ડ અને મેન્જમેન્ટની ચિંતા વધારી દીધી છે.
IPLમાં રોહિત ઈમ્પેક્ટ પ્લેયર
ઈમ્પેક્ટ પ્લેયરને સતત 40 ઓવર સુધીનથી રમવું પડતું, તેથી રોહિત IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે. જ્યારે ODI ક્રિકેટમાં ઈમ્પેક્ટ પ્લેયરની સુવિધા નથી, તેથી BCCIને ડર છે કે, રોહિતનું શરીર 40 વર્ષની ઉંમરે હાઈ-ઈન્ટેસિટી ક્રિકેટનું દબાણ કેટલું સહન કરી શકશે.
IPLમાં રોહિતની દમદાર બેટિંગ
જોકે રોહિતે અફઘાનિસ્તાન ODI સિરીઝ (India-Afghanistan ODI Series) પહેલા IPLમાં દમદાર બેટિંગ કરીને સૌને ચોંકાવી દીધા છે. તેણે માત્ર ચાર મેચમાં 146 રન ફટકારી દીધા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. હવે મુંબઈ 24 મેએ છેલ્લી મેચ રમવાની છે, તેથી રોહિતને પોતાની ફિટનેસ સુધારવામાં ઘણો સમય મળી જશે.
રોહિતનો વિકલ્પ યશસ્વી, પણ ઈશાનને વધુ તક
બીજી તરફ BCCIના સિલેક્ટર્સે ODI વર્લ્ડ કપ 2027 માટે બેકઅપ પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. શરૂઆતમાં યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) રોહિતનો વિકલ્પ મનાતો હતો, જોકે સિલેક્ટર્સનું માનવું છે કે, યશસ્વીને હજુ ODIમાં વધુ મેચો નથી મળી, આવી સ્થિતિમાં ઈશાન કિશન (Ishan Kishan) ને સંભવિત ઓપનર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
વર્લ્ડ કપ-2027નો પ્લાન અત્યારથી તૈયાર!
ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપને લઈને તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ભવિષ્યમાં સંભવિત સ્થિતિઓને પહોંચી વળવા પર પણ વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. જો વર્લ્ડ કપ પહેલા કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) અથવા યશસ્વી જયસ્વાલમાંથી કોઈ એક ઈજાગ્રસ્ત થાય તો ટીમ પાસે વધુ એક ઓપનર હોવો જરૂરી માનવામાં આવી રહ્યો છે.

