VIDEO: શું T20 વર્લ્ડ કપ 2026માં થયું હતું ફિક્સિંગ? આ મેચ પર ઉભા થયા પ્રશ્નો, ICCએ શરૂ કરી તપાસ
T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાયો હતો. જેમાં ભારતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને રેકોર્ડ ત્રીજી વખત ટાઈટલ જીત્યું હતું. જોકે, આ ટુર્નામેન્ટ અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU) એ T20 વર્લ્ડ કપ 2026માં એક મેચની તપાસ શરૂ કરી છે. આ મેચમાં ફિક્સિંગ થયું હોવાની શંકા છે, જેના વિશે એક ડોક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે.
શું T20 વર્લ્ડ કપ 2026માં ફિક્સિંગ થયું હતું?
એક અહેવાલ મુજબ, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU) એ કેનેડિયન ક્રિકેટ સંબંધિત ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરૂ કરી છે. તપાસ કેનેડા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પર કેન્દ્રિત છે. ન્યુઝીલેન્ડની ઈનિંગનો પાંચમી ઓવર ખાસ કરીને તપાસ હેઠળ છે. કેનેડાના કેપ્ટન દિલપ્રીત બાજવાએ તે ઓવર ફેંકી હતી. તે ઓવરમાં તેણે નો-બોલ ફેંક્યો, લેગ સાઈડ પર વાઇડ બોલ ફેંક્યો અને કુલ 15 રન આપ્યા હતા. તે પહેલાં, કેનેડિયન પેસર જસકરણ સિંહ અને ડિલન હેલીગરે પણ મોંઘી ઓવર ફેંકી હતી. જ્યારે સ્પિનર સાદ બિન ઝફરે ત્રીજી ઓવર વિકેટ-મેડન ફેંકી હતી.
કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (CBC) ના તપાસ કાર્યક્રમ, 'Fifth Estate' દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટરી 'Corruption, Crime and Cricket' ના પ્રસારણ પછી તપાસ શરૂ થઈ હતી. ડોક્યુમેન્ટરી કેનેડિયન ક્રિકેટ બોર્ડની અંદર આંતરિક બાબતો, ખેલાડીઓની પસંદગીમાં દબાણ અને મેચ સંબંધિત શંકાસ્પદ પ્રવૃત્તિઓનો આરોપ લગાવે છે. બીજી તપાસ એક જૂના ટેલિફોન રેકોર્ડિંગ સાથે સંબંધિત છે જેમાં તત્કાલીન કોચ ખુર્રમ ચોહાણે દાવો કર્યો હતો કે ક્રિકેટ કેનેડા બોર્ડના વરિષ્ઠ સભ્યોએ તેમના પર ટીમમાં ચોક્કસ ખેલાડીઓનો સમાવેશ કરવા દબાણ કર્યું હતું.
કેનેડિયન ક્રિકેટમાં અશાંતિ
ICCનું ભ્રષ્ટાચાર વિરોધી એકમ હાલમાં આ આરોપોની તપાસ કરી રહ્યું છે અને તેણે કોઈ સત્તાવાર નિવેદન જારી નથી કર્યું. ICCના ભ્રષ્ટાચાર વિરોધી એકમના વચગાળાના જનરલ મેનેજર એન્ડ્રુ એફગ્રેવે જણાવ્યું હતું કે, "ACU CBC દ્વારા પ્રસારિત કાર્યક્રમથી વાકેફ છે." કેનેડા ક્રિકેટ છેલ્લા એક વર્ષથી વહીવટી અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. ભૂતપૂર્વ CEO સલમાન ખાનની નિમણૂક અને તેમની સામે ઉચાપત અને છેતરપિંડીના આરોપો, ખેલાડીઓના પગાર અને ઈનામની રકમમાં વિલંબ અને બોર્ડમાં ફેરફાર જેવા મુદ્દાઓ પહેલાથી જ ચર્ચામાં છે.

