VIDEO: CSKને લાગ્યો મોટો ઝટકો, ઈજાના કારણે IPL 2026માંથી બહાર થયો સ્ટાર ખેલાડી
ચેન્નાઈ સુપર કિંગ્સનો વધુ એક ખેલાડી IPL 2026માંથી બહાર થઈ ગયો છે. ઈજાએ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર ખલીલ અહમદને પણ અસર કરી છે. લેફ્ટ આર્મ બોલર ખલીલ ચેન્નાઈ માટે મુખ્ય બોલર હતો. તેની ગેરહાજરી ટીમ માટે એક મોટો ઝટકો છે. તેની ગેરહાજરીથી છેલ્લી બે મેચમાં જીતના માર્ગે પાછી ફરેલી ટીમ માટે ફાસ્ટ બોલિંગ વિભાગમાં સંકટ સર્જાયું છે.
ખલીલ અહમદને IPL 2026માંથી બહાર કેમ થયો?
ખલીલને ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણે IPL 2026માંથી બહાર થવું પડ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની છેલ્લી મેચમાં ચોથી ઓવર ફેંકતી વખતે તેને આ ઈજા થઈ હતી. તેણે જમણા હિપમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તે પોતાની ઓવર પણ પૂર્ણ નહતો કરી શક્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખલીલ અહમદને ગ્રેડ 2 ઈજા થઈ છે. તેને સ્વસ્થ થવા માટે 10થી 12 અઠવાડિયા એટલે કે લગભગ 3 મહિના સુધી રિહેબની જરૂર પડશે.
IPL 2026ની 5 મેચોમાં ખલીલ અહેમદનું પ્રદર્શન
IPL 2026માં અત્યાર સુધી રમાયેલી બધી 5 મેચોમાં ખલીલ અહમદ ચેન્નાઈની ટીમનો ભાગ રહ્યો છે. તેણે 73.00ની એવરેજથી 2 વિકેટ લીધી છે, તેનો ઇકોનોમી રેટ 8.67 છે. IPL 2026ના ઓક્શન પહેલા ખલીલ અહમદને ચેન્નાઈ સુપર કિંગ્સે 4.8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તેની ગેરહાજરીમાં ચેન્નાઈનો પેસ એટેક હવે ગુરજપનીત સિંહ, અંશુલ કંબોજ અને જેમી ઓવરટન પર નિર્ભર રહેશે.
ખલીલની ગેરહાજરીની શું અસર પડશે?
ખલીલ અહમદ IPL 2026માંથી બહાર થનાર ચેન્નાઈ પહેલો બોલર નથી. નાથન એલિસને પણ ઈજાને કારણે બહાર થવું પડ્યું છે. હાલમાં ટીમમાં રહેલો મેટ હેનરી પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જ્યારે સ્પેન્સર જોહ્ન્સન હજુ સુધી ટીમમાં નથી જોડાયો. ટીમમાં મુકેશ ચૌધરી અને રામકૃષ્ણ ઘોષ જેવા અનકેપ્ડ બોલર્સ પણ છે, જે ખલીલને મેદાન પર રિપ્લેસ કરી શકે છે. ચેન્નાઈનો આગામી મુકાબલો 18 એપ્રિલે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે.

