VIDEO: IND vs ENG / ચોથી T20 માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર! સંજુ સેમસનની થઈ શકે છે વાપસી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝનો ચોથો અને મહત્ત્વપૂર્ણ મુકાબલો આજે એટલે કે ગુરૂવારે (9 જુલાઈ) બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાશે. સિરીઝમાં 0-2થી પાછળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયા માટે હવે પ્રતિષ્ઠા બચાવવાનો જંગ છે. ભારત હવે વધુમાં વધુ આ સિરીઝ ડ્રો કરાવી શકે તેમ છે, જેના માટે તેને બાકીની બંને મેચો જીતવી અનિવાર્ય છે. આવી સ્થિતિમાં કેપ્ટન શ્રેયસ અય્યર અને હેડ કોચ ગૌતમ ગંભીરની જોડી પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવા માટે કેટલાક કડક નિર્ણયો લઈ શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે, શું માત્ર બે મેચ બાદ જ યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીની પ્લેઇંગ ઈલેવનમાંથી રજા થશે?
વૈભવ સૂર્યવંશીની આક્રમકતા નડી?
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ભારતીય ટીમ માટે ડેબ્યુ કરીને ઈતિહાસ રચ્યો હતો. તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે ઈન્ટરનેશનલ મેચ રમનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે. જોકે, વૈભવ પોતાની પ્રથમ બે મેચમાં ખાસ કમાલ કરી નથી શક્યો. તેણે બંને મેચમાં 2-2 સિક્સ જરૂર ફટકારી હતી, પરંતુ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેની બેટિંગમાં સંયમનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પોતાની વિકેટની કિંમત સમજાવવા માટે આજે વૈભવને બેન્ચ પર બેસાડવામાં આવી શકે છે, જેથી તે આગામી સમયમાં વધુ પરિપક્વતા સાથે મેદાન પર ઉતરે.
'ઘાયલ સિંહ' સંજુ સેમસન પર દબાણ અને મોકો
જો વૈભવ સૂર્યવંશીને ચોથી T20માંથી બહાર કરવામાં આવશે, તો પ્લેઇંગ ઈલેવનમાં સંજુ સેમસનની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. યુકેના આ પ્રવાસ પર સેમસને ત્રણ ઈનિંગ્સ રમી છે, જેમાં તે એક પણ વખત બે આંકડાનો સ્કોર (10 રન) પણ પાર નથી કરી શક્યો. જોકે, સેમસન અગાઉ પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારત માટે તારણહાર બન્યો છે. 2026ના T20 વર્લ્ડ કપની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલમાં તેણે સતત 3 શાનદાર ઈનિંગ્સ રમીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.
આજે જો સંજુ સેમસનને તક મળશે, તો તે 'ઘાયલ સિંહ' ની જેમ રમીને પોતાની ફોર્મ સાબિત કરવા અને દબાણની સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની લાજ બચાવવા માટે પૂરો દમ લગાવશે. ભારતીય ફેન્સને આશા છે કે સેમસન ફરી એકવાર એક યોદ્ધાની જેમ લડીને ભારતને જીત અપાવશે.

