મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી, આ ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહી છે. પહેલી મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. બે મેચની ટેસ્ટ સિરીઝ બાદ, ત્રણ ODI અને પાંચ T20I મેચ રમાશે. આ દરમિયાન, ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. એશિયા કપ દરમિયાન ઘાયલ થયેલો હાર્દિક પંડ્યા વાપસી માટે તૈયાર છે. જોકે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં, પરંતુ સ્થાનિક ક્રિકેટ રમતો જોવા મળશે.
હાર્દિક પંડ્યા એશિયા કપ દરમિયાન ઘાયલ થયો હતો
હાર્દિક પંડ્યા એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા ઘાયલ થયો હતો. ફાઈનલ પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન તેને પગમાં ઇજા થઈ હતી. પરિણામે, હાર્દિક એશિયા કપ ફાઈનલ ન હતો રમી શક્યો. ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. હવે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સિરીઝ રમાવાની છે, જોકે તેમાં હજુ સમય છે. દરમિયાન, એવા સમાચાર છે કે હાર્દિક પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતો જોવા મળશે.
હાર્દિક સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા તરફથી રમશે
હાર્દિક પંડ્યા બરોડા તરફથી રમે છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તે જ ટીમ તરફથી રમશે, જે T20 ફોર્મેટમાં રમાશે. હાર્દિક આ ટુર્નામેન્ટમાં રમીને પોતાની ફિટનેસ સાબિત કરશે અને જો તે પછી બધું બરાબર રહેશે, તો તે સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં પાછો ફરતો જોવા મળશે. આ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની T20I સિરીઝ રમાવાની છે, જે આવતા વર્ષના વર્લ્ડ કપ માટે મહત્ત્વપૂર્ણ છે.
T20I મેચોમાં હાર્દિકનું પ્રદર્શન
હાર્દિક પંડ્યાએ 26 સપ્ટેમ્બરે તેની છેલ્લી T20I મેચ રમી હતી. જેમાં તેણે બે રન બનાવ્યા હતા અને એક વિકેટ લીધી હતી. ભારત માટે અત્યાર સુધી 120 T20I મેચ રમનાર હાર્દિક પંડ્યાએ 1,860 રન બનાવ્યા છે, તેણે આ દરમિયાન 5 અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે 98 વિકેટ પણ લીધી છે. હાર્દિક જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે ત્યારે તે બ્રેક પછી કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે. તેના પર દરેક ફેનની નજર હશે.

