IND vs SA / કોલકાતા ટેસ્ટ પહેલા ધ્રુવ જુરેલે આપ્યું મોટું નિવેદન, રિષભ પંત સાથે રમવા અંગે કહી આ વાત

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 14 ઓક્ટોબરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ માટે બધાની નજર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પર રહેશે, જેમાં રિષભ પંત સિવાય ધ્રુવ જુરેલના રમવાની અપેક્ષા છે. આ ટેસ્ટ સિરીઝ પહેલા, જુરેલે સાઉથ આફ્રિકા-A સામેની બે અનઓફિશિયલ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું, તેણે બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. હવે, કોલકાતા ટેસ્ટ પહેલા, જુરેલે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
'પંત સાથે મારી કોઈ સ્પર્ધા નથી'
કોલકાતા ટેસ્ટ પહેલા એક નિવેદનમાં, ધ્રુવ જુરેલે રિષભ પંત વિશે કહ્યું હતું કે, "મારી અને તેની વચ્ચે કોઈ સ્પર્ધા નથી. અમે બંને ભારત માટે રમીએ છીએ, તેથી કોઈપણ રમે, બંનેનું ધ્યેય ટીમને જીત અપાવવાનું જ રહે છે. જો તે રમે છે, તો પણ હું ખુશ છું અને જો મને તક મળે છે તો હું મારું 100% આપીશ. જો અમે બંને સાથે રમીએ છીએ, તો તે વધુ સારું રહેશે. અમે બંને અમારા પ્રદર્શનથી ભારતીય ટીમને જીત અપાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ સિરીઝ ખૂબ જ રોમાંચક બનવાની છે, બંને ટીમો પાસે બેસ્ટ બોલિંગ એટેક છે. હું ખરેખર આ સિરીઝની રાહ જોઈ રહ્યો છું કારણ કે સાઉથ આફ્રિકા વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન છે."
'હું પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરવાનો પ્રયાસ કરું છું'
તેની બેટિંગ વિશે, ધ્રુવ જુરેલે કહ્યું, "એક ક્રિકેટર તરીકે, જ્યારે હું મેચ પછી ડ્રેસિંગ રૂમમાં પાછો ફરું છું ત્યારે મને સૌથી સારું લાગે છે અને લાગે છે કે મેં ટીમની જીતમાં ફાળો આપ્યો છે. જ્યારે હું બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરું છું, ત્યારે મારી નજર પરિસ્થિતિ પર હોય છે અને તે મુજબ જ રમવાનો પ્રયાસ કરું છું." જુરેલના ટેસ્ટ ક્રિકેટ પ્રદર્શન વિશે વાત કરીએ, તો તેણે અત્યાર સુધી સાત મેચ રમી છે, જેમાં તેણે 11 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે. આ સમયગાળા દરમિયાન, જુરેલે 47.77ની એવરેજથી 430 રન બનાવ્યા છે. જુરેલે ટેસ્ટ ક્રિકેટમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે.

