IND vs ENG / આકાશદીપ-અર્શદીપ IN, પંત-બુમરાહ OUT; ઓવલ ટેસ્ટમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝમાં અત્યાર સુધી 4 મેચ રમાઈ છે. ઈંગ્લેન્ડે 2 મેચ જીતી છે, જ્યારે એક મેચ ભારતે જીત મેળવી છે અને એક મેચ ડ્રો થઈ છે. ઈંગ્લેન્ડ આ સિરીઝમાં 2-1થી આગળ છે. ટેસ્ટ સિરીઝ 2-2થી બરાબર કરવા માટે ભારત માટે છેલ્લી મેચ કોઈપણ કિંમતે જીતવી જરૂરી છે. પાંચમી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાનો છે.
ઓપનિંગ જોડી
યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ભારત માટે ઓપનિંગ કરશે. માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં રાહુલે શાનદાર બેટિંગ કરી અને પ્રથમ ઈનિંગમાં 46 અને બીજી ઈનિંગમાં 90 રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં તેણે 8 ઈનિંગમાં 529 રન બનાવ્યા છે. જયસ્વાલે છેલ્લી મેચની પહેલી ઈનિંગમાં 58 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે બીજી ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. આવી સ્થિતિમાં, ઓપનિંગ જોડીમાં ફેરફારની શક્યતા ઘણી ઓછી છે.
મિડલ ઓર્ડર
સાઈ સુદર્શન મિડલ ઓર્ડરમાં નંબર 3 પર બેટિંગ કરી શકે છે, જ્યારે શુભમન ગિલ નંબર 4 પર જવાબદારી સંભાળશે તે નિશ્ચિત છે. તેણે આ સિરીઝમાં અત્યાર સુધી શાનદાર રમત બતાવી છે. ચોથી મેચની બીજી ઈનિંગમાં ગિલે 103 રન બનાવ્યા હતા. જ્યારે ધ્રુવ જુરેલને લોઅર મિડલ ઓર્ડરમાં રિષભ પંતની જગ્યાએ તક મળવાની અપેક્ષા છે. પંત ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આ ઉપરાંત ભારતના બંને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા પણ લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે.
બોલિંગ વિભાગમાં ફેરફાર લગભગ નિશ્ચિત છે
સ્પિન બોલિંગ વિભાગનો ભાર સુંદર, જાડેજા અને કુલદીપ યાદવ પર હોઈ શકે છે. કુલદીપને આ મેચમાં તક મળવાની અપેક્ષા છે. જ્યારે મોહમ્મદ સિરાજ, આકાશદીપ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી સંભાળી શકે છે. બુમરાહને આરામ મળે તેવી અપેક્ષા છે.
પાંચમી ટેસ્ટ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, અર્શદીપ સિંહ.

