Asia Cup 2025 / ફક્ત આ ભારતીય કેપ્ટને જીત્યો છે T20 એશિયા કપનો ખિતાબ; હવે સૂર્યા પાસે છે સુવર્ણ તક

અત્યાર સુધી T20 એશિયા કપની બે એડિશન યોજાઈ ચૂકી છે. પહેલીવાર વર્ષ 2016માં અને બીજી વાર વર્ષ 2022માં. હવે T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને, એશિયા કપ ફરી એકવાર T20 ફોર્મેટમાં રમવાનો છે અને તેને શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાની પહેલી મેચ રમશે. અત્યાર સુધી ફક્ત એક જ ભારતીય કેપ્ટન T20 એશિયા કપનો ખિતાબ જીતી શક્યો છે.
ધોનીની કેપ્ટનશિપમાં T20 એશિયા કપ 2016નો ખિતાબ જીત્યો
T20 એશિયા કપ 2016માં, ભારતીય ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો અને તેની કેપ્ટનશિપમાં ટીમે ફાઈનલમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું. બાંગ્લાદેશી ટીમે પ્રથમ બેટિંગ કરતા 120 રન બનાવ્યા. આ પછી, ભારત માટે શિખર ધવને 60 રનની ઈનિંગ રમી. જ્યારે વિરાટ કોહલીએ 41 રનનું યોગદાન આપ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોની નંબર-4 પર બેટિંગ કરવા આવ્યો અને 6 બોલમાં 20 રન બનાવ્યા હતા, જેમાં એક ચોગ્ગો અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
ત્યારબાદ 2022માં T20 ફોર્મેટમાં એશિયા કપ રમાયો હતો. તે સમયે ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા હતો. તેની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ફાઈનલમાં પહોંચી નહતી શકી. વર્ષ 2022માં, શ્રીલંકાએ દાસુન શનાકાની કેપ્ટનશિપ હેઠળ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.
સૂર્યા પાસે મોટી તક છે
અત્યાર સુધી ફક્ત મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે T20 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. હવે આગામી T20 એશિયા કપ માટે ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. જો ટીમ તેની કેપ્ટનશિપ હેઠળ ટાઈટલ જીતે છે, તો તે T20 એશિયા કપ જીતનાર બીજો ભારતીય કેપ્ટન બનશે. તે પહેલીવાર એશિયા કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. બીજી તરફ, રોહિત શર્માએ કેપ્ટન રહીને બે વાર (2018, 2023) ODI ફોર્મેટમાં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ T20 એશિયા કપમાં તે ખાલી હાથ રહ્યો હતો.

