WCL 2025માં પાકિસ્તાન હાર્યું તો સુરેશ રૈના એ કર્યો કટાક્ષ, કહ્યું- 'અમે રમ્યા હોત તો આવી જ રીતે...'

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ એટલે કે WCL 2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને શર્જીલ ખાનની અડધી સદીના દમ પર 195 રન બનાવ્યા હતા. આ સ્કોરને સાઉથ આફ્રિકાએ 16.5 ઓવરમાં 9 વિકેટ રહેતા સરળતાથી ચેઝ કરી લીધો હતો. સાઉથ આફ્રિકાની આ જીતનો હીરો એબી ડીવિલિયર્સ રહ્યો હતો, જેણે સિઝનની ત્રીજી સદી ફટકારીને 120 રનોની ધમાકેદાર ઈનિંગ રમી હતી. પાકિસ્તાનની આ શરમજનક હાર બાદ હવે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રેનાનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે.
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાની મેચ બાદ સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એબી ડીવિલિયર્સની શાનદાર સદીના વખાણ કર્યા અને બીજી તરફ પાકિસ્તાન પર કટાક્ષ કરતા લખ્યું કે, જો ભારત ત્યાં હોત તો ભારતે પણ પાકિસ્તાનને આવી જ રીતે કચડી નાખ્યું હોત.
તમને જણાવી દઈએ કે, WCLની સેમિમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની હતી, પરંતુ ભારતીય ખેલાડીઓ દ્વારા આ મેચનો બહિષ્કાર કરવાના કારણે મેચ રદ્દ કરી દેવામાં આવી અને પાકિસ્તાનને ફાઈનલની ટિકિટ મળી હતી.
સુરેશ રૈનાનો કટાક્ષ
સુરેશ રૈનાએ X પર લખ્યું કે, "એબી ડીવિલિયર્સે ફાઈનલમાં કમાલની ઈનિંગ રમીને ધમાલ મચાવી દીધી. જો અમે રમ્યા હોત તો અમે પણ પાકિસ્તાનને આવી જ રીતે કચડી નાખ્યું હોત પરંતુ અમે પોતાના દેશને સૌથી ઉપર રાખ્યો. EaseMyTrip અને નિશાંતપિટ્ટીનું સન્માન. તેમણે દ્રઢતાથી ઉભા રહીને તેની સાથે સંબંધિત કોઈપણ મેચનું સમર્થન ન કર્યું. આજ અસલી ચરિત્ર છે.
ભારતનો પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર
તમને જણાવી દઈએ કે, પહલગામ આતંકવાદી હુમલાના કારણે ભારતીય ખેલાડીઓએ WCLમાં પાકિસ્તાનની સામે રમવાનો ઈનકાર કરી દીધો હતો. ભારત અને પાકિસ્તાનની પહેલી ટક્કર લીગ સ્ટેજમાં થવાની હતી. પરંતુ ભારતીય ખેલાડીઓ દ્વારા આ મેચનો બહિષ્કાર કર્યા બાદ મેચ અધિકારીઓએ આ મેચ રદ્દ કરી દીધી અને બંને ટીમો વચ્ચે એક એક પોઈન્ટ વહેંચી દીધા હતા. જ્યારે સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ પહોંચી તો ત્યારે પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પોતાનું સ્ટેન્ડ ન બદલ્યું. ભારત પાકિસ્તાન સામે સેમીફાઈનલ મેચ ન રમ્યું અને ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. તમને જણાવી દઈએ કે ભારત WCLની પ્રથમ સિઝનની ચેમ્પિયન છે.

