શ્રેયસ અય્યરની ઈજા ગંભીર, સિડનીની હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવો પડ્યો; વાપસીમાં લાગશે લાંબો સમય

ભારતીય ODI ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે હાલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચ દરમિયાન પાંસળીમાં થયેલી ઈજાને કારણે તે ઈંટરનલ બ્લીડિંગથી પીડાઈ રહ્યો છે. અય્યરે શનિવારે (25 ઓક્ટોબર) ત્રીજી ODIમાં બેકવર્ડ પોઈન્ટથી પાછળ દોડતા એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો હતો. આ દરમિયાન તેને ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ મામલાની જાણકારી રાખનાર એક સૂત્રએ PTIને જણાવ્યું હતું કે, "શ્રેયસ છેલ્લા કેટલાક દિવસોથી ICUમાં છે. રિપોર્ટ્સ આવ્યા પછી, ઈંટરનલ બ્લીડિંગ વિશે જાણ થઈ અને તેને તાત્કાલિક દાખલ કરવો પડ્યો. તેની રિકવરીના આધાર પર તેને બેથી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે, કારણ કે બ્લીડિંગથી ઇન્ફેકશન ફેલાતું અટકાવવું મહત્ત્વપૂર્ણ હતું."
અય્યરનો જીવ જોખમમાં હતો
ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા પછી, અય્યરના શરીરનું તાપમાન, પલ્સ રેટ અને બ્લડ પ્રેશરમાં વધઘટ થઈ રહી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, BCCI મેડિકલ ટીમ તરત જ તેને હોસ્પિટલ લઈ ગઈ. એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ટીમના ડોક્ટર અને ફિઝિયોએ કોઈ જોખમ ન લીધું અને તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા. તે હવે સ્થિર છે, પરંતુ આ જીવલેણ બની શક્યું હોત. તે ખૂબ જ મજબૂત છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે."
અય્યરની વાપસી ઘણો સમય લાગશે
શરૂઆતમાં શ્રેયસ અય્યર લગભગ ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટથી બહાર રહેશે તેવી અપેક્ષા હતી, પરંતુ હવે રિકવરીનો સમય લાંબો હોઈ શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "ઈંટરનલ બ્લીડિંગને કારણે, તેની રિકવરીમાં ચોક્કસપણે વધુ સમય લાગશે. આ સમયે, સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેના પાછા ફરવા માટે કોઈ ચોક્કસ સમયરેખા આપવી મુશ્કેલ છે." 31 વર્ષીય અય્યરના ભારત પાછા ફરવા માટે ફિટ જાહેર થાય તે પહેલા ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સિડની હોસ્પિટલમાં રહે તેવી અપેક્ષા છે.અય્યર ભારતની T20 ટીમનો ભાગ નથી.

