ભારત સામેની શરમજનક હાર બાદ ભડક્યો શાહિદ આફ્રિદી, જમાઈ શાહીન સહિત 3 ખેલાડીઓને ખખડાવ્યા

T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની કારમી હાર બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો ગુસ્સો બહાર આવ્યો છે. તેમણે ટીમના સિનિયર ખેલાડીઓની આકરી ટીકા કરતા એક મોટું નિવેદન આપ્યું. તેનું માનવું છે કે કેટલાક સિનિયર ખેલાડીઓની જગ્યાએ નવા ખેલાડીઓને તક આપવી જોઈએ.
આફ્રિદીએ શાહિન, બાબર અને શાદાબ ખાન પર આકરા પ્રહારો કર્યા
પાકિસ્તાનના એક ન્યૂઝ શોમાં બોલતા આફ્રિદીએ કહ્યું, જો નિર્ણય તેના હાથમાં હોત, તો તે બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાન જેવા ખેલાડીઓને આગામી મેચોમાંથી બહાર કરી દેત. તેણે કહ્યું કે, "યુવા ખેલાડીઓને તક આપવી જરૂરી છે. નામિબિયા સામેની મેચમાં પણ હું તેમના પર વિશ્વાસ કરીશ, તેમને આત્મવિશ્વાસ આપીશ અને તેમને સતત રમાડીશ."
તેણે વધુમાં કહ્યું, "અમે ઘણા સમયથી આ ખેલાડીઓ પર નજર રાખી રહ્યા છીએ. તેમને સતત તકો મળે છે. અમે હંમેશા એવી આશા રાખીએ છીએ કે આવી ટીમ સામે આ ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે. તેઓ સિનિયર ખેલાડીઓ છે, પરંતુ જો તેઓ તમારા માટે પ્રદર્શન ન કરી રહ્યા હોય, તો બેન્ચ પરના યુવાનોને તક કેમ ન આપવામાં આવે? શું ફરક પડે છે?"
સિનિયર ખેલાડીઓના નબળા પ્રદર્શનને કારણે મળી હાર
કોલંબોમાં રમાયેલી ભારત સામેની મેચમાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો. ટાર્ગેટ ચેઝ કરતી વખતે તે ફક્ત 5 રન બનાવીને આઉટ થયો હતો. ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પણ પોતાની બોલિંગથી પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો, તેણે ફક્ત બે ઓવરમાં 31 રન આપી દીધા હતા.
ઓલરાઉન્ડર શાદાબ ખાનનું પ્રદર્શન પણ નબળું હતું. બોલિંગ કરતી વખતે તેણે એક ઓવરમાં 17 રન આપ્યા અને તે બેટથી પણ સારું પ્રદર્શન નહતો કરી શક્યો અને ધીમી ઈનિંગ રમીને આઉટ થયો હતો. સિનિયર ખેલાડીઓના આ નબળા પ્રદર્શનને પાકિસ્તાનની હારનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
ભારતે પ્રભુત્વ વધાર્યું
કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમને પાકિસ્તાન સામે 61 રનની શાનદાર જીત અપાવી. આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને સુપર 8માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

