Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sachin Tendulkar praises Siraj Pant Rahul and Gill for stunning performances

IND vs ENG સિરીઝ દરમિયાન સચિન તેંડુલકરને ગમ્યો સિરાજનો એટીટ્યુડ, વખાણ કરતા કહ્યું- 'તેનામાં જે જુસ્સો...'

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG સિરીઝ દરમિયાન સચિન તેંડુલકરને ગમ્યો સિરાજનો એટીટ્યુડ, વખાણ કરતા કહ્યું- 'તેનામાં જે જુસ્સો...'
સોર્સ : Google

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારા કેટલાક ભારતીય ખેલાડીઓના પેટ ભરીને વખાણ કર્યા છે. તેણે મોહમ્મદ સિરાજના પ્રદર્શનને અવિશ્વસનીય ગણાવ્યું. આ ઉપરાંત શુભમન ગિલની કેપ્ટનશિપ, કેએલ રાહુલની બેટિંગ અને ઓફ સ્ટમ્પ પાસે ઉત્તમ ફૂટવર્કની પ્રશંસા કરી હતી.

App Store

સચિન તેંડુલકરે સિરાજના વખાણ કર્યા

મોહમ્મદ સિરાજના વખાણ કરતા સચિન તેંડુલકરે કહ્યું- "અદ્ભુત પ્રદર્શન, શાનદાર એપ્રોચ, મને તેનો એટીટ્યુડ ખૂબ ગમે છે અને તેનામાં જે જુસ્સો દેખાય છે તે પણ અદ્ભુત છે. જો કોઈ ફાસ્ટ બોલર હંમેશા બેટરની સામે આવીને તેને પડકારતો રહે, તો કોઈ પણ બેટર ડગમગી જાય છે."

સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરે કહ્યું કે, "ટેસ્ટ મેચના છેલ્લા દિવસ સુધી સિરાજની ઉર્જા અદ્ભુત હતી, કોમેન્ટેટર્સ એમ પણ કહી રહ્યા હતા કે 1000થી વધુ બોલ ફેંક્યા પછી પણ તે લગભગ 145 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકતો હતો. આ તેની હિંમત અને વિશાળ હૃદય દર્શાવે છે."

રિષભ પંતના વિશે સચિન તેંડુલકરે શું કહ્યું?

ભારતીય બેટર રિષભ પંત વિશે સચિન તેંડુલકરે કહ્યું કે, "ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ઘણા ઉતાર-ચઢાવ અને જોરદાર ટક્કર જોવા મળી હતી. આ સમય દરમિયાન ઘણા ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન પણ જોવા મળ્યું. સિરીઝમાં ઈજા પહોંચવા છતાં રિષભ પંત અને ક્રિસ વોક્સ જેવા ખેલાડીઓ મેદાન પર ઉતર્યા. રિષભ પંતે પાંચમાંથી ચાર ટેસ્ટ રમી અને બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી. ખાસ વાત એ હતી કે તે ઈજાગ્રસ્ત હોવા છતા અડધી સદી ફટકારી હતી. આ સિરીઝમાં તેની એવરેજ 68.42 અને સ્ટ્રાઇક રેટ 77.63 હતો, જે દર્શાવે છે કે તેણે કેટલી શાનદાર બેટિંગ કરી હતી."

ગિલ અને રાહુલની બેટિંગ વિશે સચિને શું કહ્યું?

શુભમન ગિલ અને કેએલ રાહુલ આ ટેસ્ટ સિરીઝમાં ભારત માટે બે સૌથી મહત્ત્વપૂર્ણ બેટર હતા. શુભમન ગિલે 754 રન અને કેએલ રાહુલે 532 રન બનાવ્યા, બંનેએ મળીને છ સદી ફટકારી. ઈંગ્લેન્ડની મુશ્કેલ પરિસ્થિતિઓમાં બંનેનું ફૂટવર્ક ખૂબ જ સચોટ હતું, જેની સચિન તેંડુલકરે પ્રશંસા કરી હતી.

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, "શુભમન ગિલ રમત વિશે ખૂબ જ સ્પષ્ટ રીતે વિચારી રહ્યો હતો, જેની એસર તેના ફૂટવર્કમાં જોવા મળી હતી. જ્યારે મન સ્પષ્ટ હોય છે, ત્યારે જ શરીર યોગ્ય રીતે પ્રતિક્રિયા આપે છે. ગિલનું બોડી તેને સારી રીતે સાથ આપી રહ્યું હતું, તેને બોલ રમવા માટે પૂરતો સમય મળી રહ્યો હતો, તે ખૂબ જ નિયંત્રણમાં હોય તેવું લાગતું હતું."

કેએલ રાહુલ વિશે સચિન તેંડુલકરે કહ્યું કે, "કેએલ રાહુલે ટેસ્ટ સિરીઝમાં પહેલીવાર એક કરતા વધુ સદી ફટકારી અને આ કદાચ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે બોલની ખૂબ નજીકથી બચાવ કરી રહ્યો હતો અને ઓફ સ્ટમ્પની લાઇનને ખૂબ સારી રીતે સમજીને બોલ છોડી રહ્યો હતો. ઘણી વખત એવું લાગતું હતું કે તેણે બોલરોને મુશ્કેલીમાં મુક્યા હતા કે તેમણે ક્યાં બોલિંગ કરવી જોઈએ? જ્યારે બોલ તેના માટે રમવા યોગ્ય હતો, ત્યારે તે કેટલાક ખૂબ જ શાનદાર શોટ રમ્યો. તે આખી સિરીઝ દરમિયાન શાંત અને સંતુલિત દેખાતો હતો."

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝનો 2-2થી અંત થયો હતો

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ઓગસ્ટે પૂર્ણ થયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ભારતે લંડનના ઓવલ મેદાનમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડને છ રને પરાજય આપ્યો હતો. આ સાથે કુલ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં બંને દેશો 2-2 મેચમાં જીત મેળવતા સિરીઝનો અંત ડ્રોમાં થયો હતો. ભારત તરફથી ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં ક્રિષ્નાએ 4 વિકેટ અને સિરાજે 5 વિકેટ ઝડપી હતી.