VIDEO: કેપ્ટન શ્રેયસ અય્યરનો ધમાકો, 51 બોલમાં ફટકારી સદી; પંજાબની જીત સાથે રોમાંચક બની પ્લેઓફની રેસ
IPL 2026 હવે તેના સૌથી રોમાંચક મોડ પર આવી પહોંચી છે. શનિવારે લખનૌના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેના જ ઘરમાં 7 વિકેટે કરારી માત આપી છે. પંજાબ કિંગ્સ માટે આ મુકાબલો 'કરો યા મરો' જેવો હતો અને ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે મોરચો સંભાળીને ટીમને અકલ્પનીય જીત અપાવી છે.
પ્લેઓફની રેસમાં જ રહેશે પંજાબ, દિલ્હી બહાર ફેંકાયું
લખનૌએ આપેલા 197 રનના મજબૂત ટાર્ગેટને પંજાબે માત્ર 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
કેપ્ટન અય્યરની કિલર સેન્ચુરી
197 રનના મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈનિંગના પહેલા જ બોલ પર પ્રિયાંશ આર્યાને અર્જુન તેંડુલકરના હાથે કેચ આઉટ કરાવીને લખનૌને મોટી સફળતા અપાવી હતી. ત્યારબાદ શમીએ ઈન ફોર્મ બેટર કૂપર કોનોલીને (18 રન) પણ પવેલિયન ભેગો કર્યો હતો. 2 વિકેટ વહેલી પડી ગયા બાદ ક્રિઝ પર અસલી ડ્રામા શરૂ થયો. કેપ્ટન શ્રેયસ અય્યર અને વિકેટકીપર બેટર પ્રભસિમરન સિંહે લખનૌના બોલર્સની લાઈન-લેન્થ બગાડી નાખી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 140 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ કરી હતી.
પ્રભસિમરન સિંહ: 39 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ધમાકેદાર 69 રન બનાવ્યા.
શ્રેયસ અય્યર: 51 બોલમાં અણનમ 101 રન ફટકાર્યા, જેમાં 11 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.
પ્લેઓફનું નવું સમીકરણ
પંજાબના 15 પોઈન્ટ્સ છે. જો રવિવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પોતપોતાની છેલ્લી મેચ હારી જશે, તો પંજાબ સીધું પ્લેઓફમાં ક્વોલિફાય કરશે. જો KKR જીતશે, તો મામલો નેટ રન રેટ પર અટકશે.

