VIDEO: માત્ર સૂર્યકુમાર યાદવ જ નહીં આ 4 ખેલાડીઓનું પણ કપાયું પત્તું, ટીમ ઈન્ડિયાના નવા યુગની થશે શરૂઆત
T20 ક્રિકેટમાં ભારતીય ટીમ માટે એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે. ભારતને ત્રીજી વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કપ્તાન સૂર્યકુમાર યાદવ પાસેથી કપ્તાની છીનવી લેવામાં આવી છે. 6 જૂનના રોજ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ તેમજ એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 31 વર્ષીય સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યરને ભારતના નવા T20I કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે 23 વર્ષના ઉભરતા સ્ટાર તિલક વર્માને ઉપકપ્તાનીની જવાબદારી સોંપવામાં આવી છે.
આ જાહેરાતમાં સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટન્સી પરથી જ નથી હટાવવામાં આવ્યો, પરંતુ તેને ટીમમાંથી પણ બહારનો રસ્તો બતાવી દેવાયો છે. બીજી તરફ, IPL 2026માં પોતાના બેટથી ધમાકો કરનાર 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને T20 સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. શ્રેયસ અય્યર કેપ્ટન બનતાની સાથે જ કયા 5 સ્ટાર ખેલાડીઓનું પત્તું કપાયું છે, તેના પર એક નજર કરીએ.
આ 5 દિગ્ગજ ખેલાડીઓ ટીમમાંથી આઉટ
સૂર્યકુમાર યાદવ
અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ શ્રેયસ અય્યરને કપ્તાની સોંપીને સૂર્યકુમાર યાદવને રજા આપી દીધી છે. સૂર્યાને કપ્તાનીની સાથે ત્રણેય સ્ક્વોડમાંથી બહાર કરી દેવાયો છે. તે છેલ્લા 1-2 વર્ષથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો અને IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા 13 મેચમાં 20.77ની એવરેજથી માત્ર 270 રન જ બનાવી શક્યો હતો. 35 વર્ષના સૂર્યા માટે હવે ટીમમાં વાપસી મુશ્કેલ દેખાઈ રહી છે. તેણે ભારત માટે 113 મેચમાં 36.35ની એવરેજથી 4 સદી અને 25 અડધી સદી સાથે 3272 રન બનાવ્યા છે.
રિન્કુ સિંહ
ટીમ ઈન્ડિયાના T20 સ્ક્વોડમાંથી ફિનિશર રિન્કુ સિંહની પણ રજા થઈ ગઈ છે. તે તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી તેનું પ્રદર્શન પણ ખાસ નથી રહ્યું. IPL 2026માં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાના દમ પર કેટલીક મેચો જીતાડી હતી, પરંતુ બોર્ડને પ્રભાવિત ન કરી શક્યો. રિન્કુએ ભારત માટે 45 T20 મેચ રમીને 155.73ના સ્ટ્રાઈક રેટથી 665 રન બનાવ્યા છે.
કુલદીપ યાદવ
નવા કપ્તાન અય્યરના આવતાની સાથે જ અનુભવી સ્પિનર કુલદીપ યાદવને પણ T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પસંદગીકારોએ કુલદીપના સ્થાને રવિ બિશ્નોઈ પર ભરોસો મૂક્યો છે, જ્યારે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પોતાની જગ્યા બચાવવામાં સફળ રહ્યો છે. કુલદીપે ભારત માટે અત્યાર સુધીમાં 54 T20I મેચ રમીને 95 વિકેટ ઝડપી છે.
મોહમ્મદ શમી
અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે. IPL 2026માં પોતાની ફિટનેસ અને ઉત્કૃષ્ટ ફોર્મ સાબિત કરવા છતાં શમીને T20 ટીમમાં એન્ટ્રી નથી મળી. એવું લાગી રહ્યું છે કે પસંદગીકારો હવે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં શમીને પોતાના પ્લાનનો હિસ્સો બનાવવા નથી માંગતા. શમીએ ભારત માટે 25 T20I મેચમાં 27 વિકેટ ઝડપી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ઈંગ્લેન્ડ સામેની ODI સીરિઝમાં તેને સ્થાન મળે છે કે નહીં.
શુભમન ગિલ
શુભમન ગિલ ભલે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ અને ODI ફોર્મેટનો કેપ્ટન હોય, પરંતુ T20 ટીમમાં તેને સ્થાન નથી મળી રહ્યું. IPL 2026માં 700થી વધુ રન બનાવવા છતાં ગિલ નવા કપ્તાન શ્રેયસ અય્યર અને પસંદગીકારોને ખુશ રાખવામાં અસમર્થ રહ્યો છે. ગિલે અત્યાર સુધી ભારત માટે 36 T20I મેચમાં 28.03ની એવરેજથી 1 સદી અને 3 અડધી સદી સાથે 869 રન બનાવ્યા છે.

