VIDEO: શ્રેયસ અય્યરે T20 કેપ્ટન બનવા માટે કેવી રીતે મારી બાજી? આ છે તેની પસંદગીના મુખ્ય કારણો
ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચા પર વિરામ મૂકતાં BCCIએ શ્રેયસ અય્યરને ભારતીય T20 ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન બનાવી દીધો છે. આ નવા નિર્ણયની સાથે જ ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપના સમયનો અંત આવ્યો છે. સૂર્યકુમારના નેતૃત્વમાં ભારતીય ટીમે ઘણી શાનદાર જીત મેળવી હતી, પરંતુ છેલ્લા બે વર્ષથી બેટિંગમાં તેનું ફોર્મ ઘણું નબળું રહ્યું હતું. આ ઉપરાંત, બોર્ડની ભવિષ્યની વ્યૂહનીતિ અને 2028માં રમાનારા આગામી T20 વર્લ્ડકપના પ્લાનિંગમાં સૂર્યકુમાર ફિટ નહતો બેસતો, જેના કારણે આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શ્રેયસ અય્યરની આગેવાનીમાં ભારતની એક નવી યુવા ટીમ ભવિષ્યની ટુર્નામેન્ટ માટે મેદાનમાં ઉતરશે.
જોકે, અય્યર માટે કેપ્ટન પદ મેળવવું એટલું સરળ નહતું. રેસમાં ઘણા મોટા નામો સામેલ હતા, પરંતુ આખરે આ 4 મુખ્ય કારણોને લીધે શ્રેયસ અય્યર બાજી મારી ગયો.
ODI અને T20માં એક જ કેપ્ટન રાખવાની નીતિ
BCCI છેલ્લા ઘણા સમયથી વ્હાઇટ-બોલ ક્રિકેટ (ODI અને T20) માટે એક જ કેપ્ટન રાખવાની નીતિ પર કામ કરી રહ્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્માએ 2024નો T20 વર્લ્ડકપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ત્યારપછી બોર્ડે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને અજમાવી જોયા, પરંતુ સૂર્યકુમાર ODI ટીમમાં સેટ ન થઈ શક્યો અને ગિલ T20 ફોર્મેટમાં ખાસ પ્રભાવ ન પાડી શક્યો. કેપ્ટન બનવાની આ રેસમાં સંજુ સેમસન, ઈશાન કિશન અને તિલક વર્મા પણ સામેલ હતા. તિલક વર્મા ભવિષ્યના ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે, પરંતુ કેપ્ટન તરીકે તેનો ઓછો અનુભવ શ્રેયસ અય્યર માટે ફાયદાકારક સાબિત થયો.
કેપ્ટનશિપનો લાંબો અને શાનદાર અનુભવ
ચીફ સિલેક્ટર અજીત અગરકરની આગેવાની હેઠળની સમિતિએ અય્યરના બહોળા અનુભવને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. શ્રેયસ અય્યર પાસે IPLમાં 100થી વધુ મેચમાં કેપ્ટનશિપ કરવાનો શાનદાર રેકોર્ડ છે. તે એમએસ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી અને વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર પછી IPLમાં 100 મેચોમાં કેપ્ટનશિપ કરનારો પાંચમો ભારતીય ખેલાડી છે. અય્યરે દિલ્હી કેપિટલ્સ માટે 41, KKR માટે 30 અને પંજાબ કિંગ્સ માટે 30 મેચમાં કેપ્ટનશિપ કરી છે.
કુલ 100 IPL મેચમાંથી તેણે 54 મેચમાં જીત મેળવી છે, જ્યારે 44માં હાર થઈ છે અને 2 મેચ પરિણામ વિનાની રહી છે. જો સ્થાનિક T20 મેચને પણ ઉમેરવામાં આવે, તો તે 127 મેચમાં કેપ્ટન રહ્યો છે જેમાંથી 74માં જીત મેળવી છે. તેની જ કપ્તાનીમાં KKR વર્ષ 2024માં ચેમ્પિયન બન્યું હતું અને ત્યારબાદના વર્ષે પંજાબની ટીમ ફાઈનલમાં પહોંચી હતી.
કેપ્ટન તરીકે બેટિંગમાં તુફાની પ્રદર્શન
શ્રેયસ અય્યરે માત્ર ટીમોને ચેમ્પિયન કે રનર્સ-અપ જ નથી બનાવી, પરંતુ પોતે આગળ રહીને બેટથી ધમાકેદાર પ્રદર્શન પણ કર્યું છે. ગયા વર્ષે અય્યરે પંજાબ માટે 17 ઈનિંગ્સમાં 50.33ની એવરેજથી 6 અડધી સદી સાથે 604 રન ફટકાર્યા હતા. જ્યારે તાજેતરમાં જ પૂરી થયેલી આ સિઝનમાં તેણે 14 મેચમાં 55.33ની શાનદાર એવરેજથી 1 સદી અને 5 અડધી સદીની મદદથી 498 રન બનાવીને સાબિત કર્યું કે તે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદ માટે સૌથી યોગ્ય દાવેદાર છે.
સિલેકશન કમિટી અને ગૌતમ ગંભીર વચ્ચે ચર્ચા
નવા કેપ્ટનની પસંદગી માટે સિલેક્શન કમિટીએ હેડ કોચ ગૌતમ ગંભીર સાથે લાંબી ચર્ચા કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ ગંભીરે શરૂઆતમાં નવા કેપ્ટન તરીકે સંજુ સેમસનના નામની ભલામણ કરી હતી. પરંતુ જ્યારે કમિટીએ તેમની પાસેથી બીજો વિકલ્પ માંગ્યો, ત્યારે ગંભીરે શ્રેયસ અય્યરનું નામ આપ્યું હતું.
બીજી તરફ, BCCIની એપેક્સ કાઉન્સિલ પણ અય્યરને જ નવો કેપ્ટન બનાવવાના પક્ષમાં હતી. આ તમામ સમીકરણો સાનુકૂળ રહેતા સિલેકશન કમિટી માટે શ્રેયસ અય્યરના નામ પર અંતિમ મહોર મારવી એકદમ સરળ બની ગઈ હતી.

