પહેલીવાર મેન્સ ઈન્ટરનેશનલ મેચની યજમાની કરશે મુલ્લાનપુર સ્ટેડિયમ, જાણો શું છે આ મેદાનની ખાસીયત

કટકમાં પહેલી T20I મેચમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ ભારતીય ટીમ હવે મુલ્લાનપુર પહોંચી ગઈ છે. પાંચ મેચની T20I સિરીઝની બીજી મેચ આજે (11 ડિસેમ્બર) મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. જ્યારે એડન માર્કરમના નેતૃત્વવાળી સાઉથ આફ્રિકાની ટીમ સિરીઝને 1-1થી બરાબરી પર લાવવાનું લક્ષ્ય રાખશે.
પહેલીવાર યજમાની કરશે મુલ્લાનપુર સ્ટેડિયમ
મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પહેલીવાર મેન્સ ઈન્ટરનેશનલ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. અગાઉ અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચ રમાઈ ચૂકી છે. તે પંજાબ કિંગ્સનું હોમ વેન્યુ છે. વધુમાં, ભારતની વિમેન્સ ટીમ આ મેદાન પર ઓસ્ટ્રેલિયાનો સામનો કરી ચૂકી છે.
યુવરાજના નામ પર સ્ટેન્ડ
મુલ્લાનપુર સ્ટેડિયમના બે સ્ટેન્ડ વિમેન્સ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌર અને ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહને સમર્પિત કરવામાં આવશે. આજની મેચ દરમિયાન બંને દિગ્ગજો મેદાન પર જોવા મળે તેવી અપેક્ષા છે. પંજાબ ક્રિકેટ એસોસિએશન અમનજોત કૌર અને વર્લ્ડ કપ વિજેતા વિમેન્સ ટીમના ફિલ્ડિંગ કોચ મુનીશ બાલીનું પણ સન્માન કરશે.
38,000 દર્શકો મેચ જોઈ શકે છે
મુલ્લાનપુર સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ હાલમાં રાજ્યસભા સાંસદ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહના નામ પર રાખવામાં આવ્યું છે. 38,000 દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમે અત્યાર સુધીમાં 11 IPL મેચનું આયોજન કર્યું છે, જેમાં આ વર્ષની બે પ્લેઓફ મેચનો પણ સમાવેશ થાય છે. વધુમાં, વિમેન્સ વર્લ્ડ કપ પહેલા રમાયેલી વિમેન્સ ODI સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી અને બીજી ODI પણ અહીં રમાઈ હતી.
આ સ્ટેડિયમ 38 એકરમાં ફેલાયેલું છે
સ્ટેડિયમનું નામ પટિયાલાના 9મા અને છેલ્લા શાસક મહારાજા યાદવિન્દ્ર સિંહના નામ પર રાખવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ત્રણ મેદાન છે. એક ફક્ત આંતરરાષ્ટ્રીય મેચો માટે છે, બીજું સ્થાનિક મેચો માટે છે, અને ત્રીજું પ્રેક્ટિસ માટે છે. તે મોહાલી સ્ટેડિયમ કરતા ઘણું મોટું છે. મોહાલી સ્ટેડિયમ 13 એકરમાં બનાવવામાં આવ્યું હતું, જ્યારે મુલ્લાનપુર સ્ટેડિયમ 38 એકરમાં ફેલાયેલું છે. પંજાબ ક્રિકેટ એસોસિએશને માર્ચ 2010માં સ્ટેડિયમની જાહેરાત કરી હતી.
ડ્રેનેટ સિસ્ટમ અદ્ભુત છે
મુલ્લાનપુર સ્ટેડિયમમાં પવેલિયન પહેલા માળે બનાવવામાં આવ્યું છે. દર્શકો પવેલિયનની બંને બાજુએ બેસશે. ખેલાડીઓ તેમાંથી મેદાનમાં પ્રવેશ કરશે. સ્ટેડિયમમાં 16 દરવાજા છે અને તેમાં 1,600 કાર પાર્ક કરી શકાય છે. ડ્રેનેટ સિસ્ટમની વાત કરીએ તો વરસાદ બંધ થયા પછી 25-30 મિનિટ પછી મેચ રમી શકાય છે. સ્ટેડિયમનું મેદાન પરંપરાગત માટીને બદલે રેતીનું બનેલું છે. સિટિંગ કેપેસિટીની દૃષ્ટિએ તે દિલ્હી પછી ઉત્તર ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે.

