MS Dhoni vs Lionel Messi: વાનખેડેમાં બંને સ્ટાર ખેલાડીઓ વચ્ચે યોજાશે ક્રિકેટ મેચ, સચિન-વિરાટ પણ લેશે ભાગ

ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી થોડા મહિના પછી ભારત આવી રહ્યો છે. ભારત આવતાની સાથે જ આ આર્જેન્ટિનાના ખેલાડી પગમાં ફૂટબોલને બદલે હાથમાં ક્રિકેટ બેટ લઈને જોવા મળશે. એક અહેવાલ મુજબ, લિયોનેલ મેસ્સી અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. ભારતના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ ઐતિહાસિક મેચનો ભાગ બનવાના છે.
મેસ્સી સાથે ક્રિકેટ મેચ ક્યારે રમાશે?
લિયોનેલ મેસ્સી આ શિયાળામાં ભારત આવી રહ્યો છે. મેસ્સી 13થી 15 ડિસેમ્બર દરમિયાન ભારતમાં રહેશે. આ સમય દરમિયાન, 14 ડિસેમ્બરે લિયોનેલ મેસ્સી અને એમએસ ધોનીની ટીમ વચ્ચે seven-a-side મેચ રમાઈ શકે છે, જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાવાની ધારણા છે. ધોની ઉપરાંત, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ મેચમાં રમતા જોવા મળી શકે છે. મેસ્સી ભારત પ્રવાસ દરમિયાન મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી અને કોલકાતાની મુલાકાત લઈ શકે છે. મેસ્સીની આ મુલાકાત એક પ્રમોશનલ ટૂર હોઈ શકે છે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "લાયોનેલ મેસ્સી 14 ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હશે. તે ભારતીય ટીમના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ સાથે અહીં ક્રિકેટ મેચ પણ રમી શકે છે. આ મેચના આયોજનની સંપૂર્ણ વિગતો બધી બાબતોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી આપી શકાય છે."
મેસ્સી પહેલા પણ ભારતની મુલાકાત લઈ ચૂક્યો છે
આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી બીજી વખત ભારતની મુલાકાતે આવી રહ્યો છે. આ ખેલાડી 2011માં પહેલીવાર ભારત આવ્યો હતો. તે સમયે મેસ્સીએ કોલકાતાના સોલ્ટ લેક ફૂટબોલ સ્ટેડિયમમાં વેનેઝુએલા સામે મેચ રમી હતી. હવે આ વખતે મેસ્સી પોતાના ભારત પ્રવાસ પર દિગ્ગજ ખેલાડીઓ સાથે ક્રિકેટ મેચ રમી શકે છે.

