લિયોનેલ મેસ્સીની મોટી જાહેરાત, આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિના આપ્યા સંકેત! જણાવ્યું ક્યારે રમશે છેલ્લી હોમ મેચ

ફૂટબોલના સૌથી મોટા સ્ટાર્સમાંના એક, લિયોનેલ મેસ્સીએ મોટો સંકેત આપ્યો છે કે આર્જેન્ટિના સાથેની તેની સફર તેના અંત તરફ પહોંચી રહી છે. 38 વર્ષીય મેસ્સીએ કહ્યું કે 4 સપ્ટેમ્બરે બ્યુનોસ આયર્સમાં વેનેઝુએલા સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયર તેની છેલ્લી હોમ મેચ હોઈ શકે છે.
આર્જેન્ટિના 2026 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે અને 35 પોઈન્ટ સાથે દક્ષિણ અમેરિકન ટેબલમાં ટોપ પર છે. પરંતુ મેસ્સી માટે, બ્યુનોસ આયર્સના એસ્ટાદિયો મોન્યુમેન્ટલમાં રમાનારી આ મેચ ફક્ત એક સ્પર્ધા નથી, પરંતુ તે તેના માટે એક મોટી ઈમોશનલ મોમેન્ટ હશે.
લિયોનેલ મેસ્સીએ તેની ફેરવેલ મેચ વિશે શું કહ્યું?
લીગ્સ કપ સેમીફાઈનલમાં ઈન્ટર મિયામીએ ઓરલેંડો સિટીને હરાવ્યા બાદ મેસ્સીએ કહ્યું, "આ મારા માટે ખાસ બનવા જઈ રહ્યું છે, ખૂબ જ ખાસ મેચ, કારણ કે આ મારી છેલ્લી ક્વોલિફાયર ગેમ છે. મને ખબર નથી કે આ પછી કોઈ ફ્રેન્ડલી કે અન્ય મેચ રમાશે કે નહીં... પણ હા, આ મેચ મારા માટે ખૂબ જ ખાસ છે અને તેથી જ મારો આખો પરિવાર મારી સાથે રહેશે. મારી પત્ની, મારા બાળકો, મારા માતા-પિતા, મારા ભાઈ-બહેન અને મારી પત્ની તરફથી શક્ય તેટલા સંબંધીઓ. મને ખબર નથી કે આ પછી શું થશે, પરંતુ અત્યારે અમારું ધ્યાન આના પર છે."
વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં મેસ્સીનો રેકોર્ડ કેવો છે
મેસ્સીએ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રેકોર્ડ 31 ગોલ કર્યા છે. આ સમય દરમિયાન, તેણે આર્જેન્ટિના માટે ઘણા યાદગાર પ્રદર્શન પણ કર્યા છે. 2022માં કતાર વર્લ્ડ કપ જીતવો એ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ હતી, જેણે તેને હંમેશા માટે ફૂટબોલ ઈતિહાસના મહાન ખેલાડીઓમાં સ્થાન આપ્યું.
મેસ્સી 9 સપ્ટેમ્બરે ઈક્વાડોર સામે આગામી ક્વોલિફાયરમાં પણ રમવાની અપેક્ષા રાખે છે, પરંતુ તે આવે મેચ હશે. આવી સ્થિતિમાં, 4 સપ્ટેમ્બરે બ્યુનોસ આયર્સમાં યોજાનારી મેચ કદાચ છેલ્લી વખત હશે જ્યારે સ્થાનિક ફેન્સ તેને વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમતા જોઈ શકશે.
જો આ ખરેખર તેની છેલ્લી મેચ છે, તો તે આર્જેન્ટિનાના ફૂટબોલ ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ પ્રકરણનો અંત લાવશે. જોકે, મેસ્સીએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.
ફૂટબોલ ઈતિહાસમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ
- ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) 221 મેચ, 138 ગોલ
- લાયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) 193 મેચ, 112 ગોલ
- અલી દાઈ (ઈરાન) - 148 મેચ, 108 ગોલ
- સુનીલ છેત્રી (ભારત) - 155 મેચ, 95 ગોલ
- રોમેલુ લુકાકુ (બેલ્જિયમ) 124 મેચ, 89 ગોલ
ફૂટબોલ ક્વોલિફાયર મેચો કેવી રીતે યોજવામાં આવે છે?
CONMEBOL (South American Football Confederation) એક ગવર્નિંગ બોડી છે જે દક્ષિણ અમેરિકામાં ફૂટબોલ સંબંધિત દેશોનું સંચાલન કરે છે. તેવી જ રીતે, દરેક ખંડમાં એક ગવર્નિંગ બોડી હોય છે. CONMEBOLના માર્ગદર્શન હેઠળ, વર્લ્ડ કપ ક્વોલિફાયર 7 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ થયા હતા અને સપ્ટેમ્બર 2025માં સમાપ્ત થશે.
ભાગ લેનારા દેશો
આર્જેન્ટિના, બોલિવિયા, બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, ઈક્વાડોર, પેરાગ્વે, પેરુ, ઉરુગ્વે અને વેનેઝુએલા.
ક્વોલિફાયર મેચો કેવી રીતે યોજવામાં આવે છે
દરેક ટીમઅન્ય 9 ટીમો સાથે એક-એક હોમ અને આવે મેચ રમશે. એટલે કે, કુલ 18 મેચ. 18 રાઉન્ડ પછી, ટોપ-6માં રહેલી ટીમો સીધી FIFA વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થશે. સાતમા ક્રમે રહેલી ટીમે FIFA પ્લે-ઓફ ટુર્નામેન્ટ રમવાની રહેશે.

