એક જ અઠવાડિયામાં ઈજાના કારણે બહાર થયા 4 ખેલાડીઓ, ઈન્જરીએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન

T20 વર્લ્ડ કપ શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. જોકે, આ પહેલા ટીમ ઈન્ડિયા પર ઈન્જરીનો બોમ્બ ફૂટ્યો છે. છેલ્લા અઠવાડિયામાં 4 મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેના કારણે માત્ર વર્તમાન ભારત-ન્યુઝીલેન્ડ ODI સિરીઝ જ નહીં પરંતુ આગામી T20 વર્લ્ડ કપ પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
આ ચાર ખેલાડીઓમાંથી ત્રણ ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ODI અને T20 સિરીઝનો ભાગ છે, જ્યારે એક ઘરેલુ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ખાસ વાત એ છે કે આ ખેલાડીઓમાં વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માનો સમાવેશ થાય છે, જે T20 વર્લ્ડ કપ માટે ભારતીય સ્કવોડનો ભાગ છે.
વોશિંગ્ટન સુંદર ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODI દરમિયાન સાઈડ સ્ટ્રેનનો સામનો કરવો પડ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે તેને મેચની વચ્ચે જ મેદાન છોડી દેવાની ફરજ પડી હતી. એ સ્પષ્ટ થઈ ગયું કે સુંદર સિરીઝની બાકીની બે ODI મેચ નહીં રમી શકે. તેના સ્થાને આયુષ બદોનીને તક આપવામાં આવી છે. સુંદરની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે, કારણ કે તેને T20 વર્લ્ડ કપ માટે મુખ્ય ઓલરાઉન્ડર માનવામાં આવે છે.
રિષભ પંત પણ સિરીઝમાંથી બહાર
વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પહેલાથી જ ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને કમર ઉપર બોલ વાગ્યો હતો, જેના કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંતની ગેરહાજરી ભારતના મિડલ ઓર્ડરના બેટિંગ અને વિકેટકીપિંગ સંયોજનને અસર કરી શકે છે.
તિલક વર્માએ સર્જરી કરાવી, જેના કારણે T20 વર્લ્ડ કપ માટે ચિંતા વધી
યુવા લેફટી બેટ્સમેન તિલક વર્મા વિજય હજારે ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને પેટના નીચેના ભાગમાં દુખાવો થયો હતો, જેના કારણે તેણે સર્જરીની જરૂર પડી હતી. આ ઈજાને કારણે તિલક ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ T20I મેચમાંથી બહાર થઈ ગયો છે. તિલક વર્માને T20 વર્લ્ડ કપ માટે મહત્ત્વપૂર્ણ બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ તેની ફિટનેસ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની ગઈ છે.
સરફરાઝ ખાનની આંગળી તૂટી
વિજય હજારે ટ્રોફી દરમિયાન સરફરાઝ ખાનને પણ ઈજા થઈ હતી. તેની આંગળી તૂટી ગઈ હતી અને તેને BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોકલવામાં આવ્યો હતો. આ ઈજાને કારણે તે વિજય હજારે ટ્રોફી ક્વાર્ટર ફાઈનલમાંથી પણ બહાર થઈ ગયો હતો.
ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી
સતત ઈજાઓએ ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર ઘણી અસર કરી છે. ખાસ કરીને, વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માની ઈજાઓ T20 વર્લ્ડ કપ પહેલા ટીમ મેનેજમેન્ટ માટે ગંભીર ચિંતાનું કારણ છે. આવનારા દિવસોમાં આ ખેલાડીઓની રિકવરી અને ફિટનેસ પર બધાની નજર રહેશે.

