સ્મૃતિ-જેમિમા સહિત આ વર્લ્ડ ચેમ્પિયન્સને રાજ્ય સરકારો તરફથી મળ્યા ઈનામ, જાણો કોણે આપ્યા કેટલા રૂપિયા

ભારતીય ક્રિકેટ ટીમે 2025 વિમેન્સ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તરફથી આશરે 40 કરોડ રૂપિયા પ્રાઈઝ મની મળી છે. આ સિવાય ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પણ ટીમ ઈન્ડિયાની ખેલાડીઓ અને સ્ટાફને 51 કરોડ રૂપિયા એનાયત કર્યા છે.
ભારતની વર્લ્ડ કપ જીત બાદ ઘણી રાજ્ય સરકારો તેમના રાજ્યોની ખેલાડીઓનું સન્માન કરી રહી છે જેઓ ભારતની વર્લ્ડ કપ ટીમનો ભાગ હતી. ટીમ ઈન્ડિયાની ખેલાડીઓને સરકારી નોકરીઓ અને કરોડો રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારોએ સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્ઝ, શ્રી ચારણી, રેણુકા ઠાકુર અને રાધા યાદવ સહિતની ખેલાડીઓને કરોડો રૂપિયા એનાયત કર્યા છે.
શ્રી ચરણીને સરકારી નોકરી મળી
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી અને લેફ્ટ આર્મ સ્પિનર શ્રી ચરણી સાથે મુલાકાત કરી હતી. આંધ્રપ્રદેશ સરકારે શ્રી ચરણીને વર્લ્ડ ચેમ્પિયન બનવા બદલ 2.5 કરોડ રૂપિયા ભેટમાં આપ્યા. તેમણે તેને 1,000 ચોરસ યાર્ડનો પ્લોટ પણ ભેટમાં આપ્યો. ચંદ્રબાબુ નાયડુએ શ્રી ચરણીને રાજ્યમાં ગ્રુપ-1 અધિકારી તરીકે સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરી છે.
મહારાષ્ટ્ર સરકારે 2.25 કરોડ રૂપિયા આપ્યા
મહારાષ્ટ્ર સરકારે ટીમ ઈન્ડિયાની ત્રણ ખેલાડીઓને 2.25 કરોડ રૂપિયા એનાયત કર્યા છે, જેમાં ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના, સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સ અને લેફ્ટ આર્મ સ્પિનર રાધા યાદવ સામેલ છે. ટીમ ઈન્ડિયાના કોચ અમોલ મજુમદાર પણ મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકારે અમોલ મજુમદારને પણ 22.50 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે.
ક્રાંતિ ગૌડનું પણ સન્માન કરવામાં આવ્યું
મધ્યપ્રદેશ સરકારે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની મિડીયમ પેસર ક્રાંતિ ગૌડનું સન્માન કર્યું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ક્રાંતિ માટે 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. સીએમ મોહન યાદવે ક્રાંતિ ગૌડના માતા-પિતાનું પણ સન્માન કર્યું હતું.
હિમાચલ સરકારે રેણુકા ઠાકુરને ઈનામ આપ્યું
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ટીમ ઈન્ડિયાની ધાકડ બોલર રેણુકા ઠાકુરને વિમેન્સ વર્લ્ડ કપમાં તેના ઉત્તમ બોલિંગ પ્રદર્શન અને ભારતની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ બનવા બદલ 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. હિમાચલ સરકારે તેને સરકારી નોકરી આપવાનું પણ વચન આપ્યું છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે હિમાચલ પ્રદેશ પરત ફર્યા બાદ રેણુકા ઠાકુરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ 2025નો વર્લ્ડ કપ જીત્યા બાદ હિમાચલના મુખ્યમંત્રીએ રેણુકા સાથે ફોન પર વાત કરી અને તેને જીત બદલ અભિનંદન આપ્યા હતા.

