ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ આ ખેલાડીના પિતાનું દર્દ છલકાયું, કહ્યું- ' ગંભીરે મારા દીકરાને...'

ભારતે હાલમાં જ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો કરી છે. આ સિરીઝમાં અભિમન્યુ ઈશ્વરનને એક પણ મેચ રમવાની તક નહતી મળી. જેથી અભિમન્યુ ઈશ્વરનના પિતા રંગનાથન ઈશ્વરનને નારાજગી વ્યક્ત કરી હતી અને ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ પર ગુસ્સે ભરાયા હતા. હવે રંગનાથન ઈશ્વરને નવું નિવેદન આપી ખુલાસો કર્યો છે કે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે તેમના દીકરાને ટૂંક સમયમાં પ્લેઈંગ ઈલેવનમાં તક આપવાનું આશ્વાસન આપ્યું છે.
રંગનાથન ઈશ્વરને એક યુટ્યુબ ચેનલ પર ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,"ગૌતમ ગંભીરે જ્યારે મારા દીકરા સાથે વાત કરી, ત્યારે તેણે મારા દીકરાને ભરોસો આપ્યો કે તે જલ્દી ટીમમાં તેને સ્થાન આપશે, મારા દીકરાએ મને વાત જણાવતા કહ્યું કે ગંભીરે તેને કહ્યું છે કે, તું યોગ્ય કામ કરી રહ્યો છે, તને જલ્દી તક મળશે અને તું ટીમમાં લાંબા સમય સુધી રમશે. હું તે વ્યક્તિ નથી જે તેને એક કે બે મેચ રમવાની તક આપી બહાર કરી દઉ, હું તક આપીશ, મારા દીકરાએ મને આ વાત જણાવી હતી." ઇન્ટરવ્યુમાં રંગનાથને આગળ જણાવ્યું કે, "પૂર્ણ કોચિંગ ટીમે વિશ્વાસ અપાવ્યો કે તેને તેનો હક મળશે, હું તેનાથી વિશેષ કઈ નથી કહી શકતો, મારો દીકરો 4 વર્ષથી મહેનત કરી રહ્યો છે, તેણે ઘણી મહેનત કરી છે."
'સાઈ સુદર્શનની જગ્યાએ અભિમન્યુને તક'
રંગનાથન ઈશ્વરનને કહ્યું કે, "સાઈ સુદર્શનની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરનને તક મળવી જોઈતી હતી કારણકે અભિમન્યુને ગ્રીન વિકેટ પર રમવાનો સારો અનુભવ છે." તેમણે કહ્યું, "સાઈ સુદર્શનથી કોઈ નારાજગી નથી, તે મારા ઓળખીતા વ્યક્તિ છે, પણ સવાલ એ છે કે ટીમમાં તે કઈ જગ્યાએ ફિટ બેસે છે? સાઈનો સ્કોર જુઓ- 0,31,0,61. એવામાં અભિમન્યુને તક આપવી જોઈતી હતી. તે ઈડન ગાર્ડન જેવા મેદાન પર અંદાજે 30 ટકા મેચ રમી ચૂક્યો છે અને આવી વિકેટ પર તેને રમવાનો સારો અનુભવ છે. રેકોર્ડ પણ દર્શાવે છે કે તે લાંબી ઇનિંગ રમનાર ખેલાડી છે."
ગત ઘરેલુ સિઝનમાં અભિમન્યુ ખૂબ જ સારા ફોર્મમાં હતો. તેણે દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફી અને રણજી ટ્રોફીમાં ખૂબ રન ફટકાર્યા હતા. તેનો સ્કોર હતો: 127*, 191, 116, 19, 157*, 13, 4, 200*, 72, 65. તેણે ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં અત્યાર સુધી 103 મેચમાં 48.70ની સ્ટ્રાઈક રેટે 7841 રન ફટકાર્યા છે, જેમાં 27 સદી અને 31 અડધી સદીનો સમાવેશ છે.

